
પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે પાટણના સ્થાપના દિવસે બે દિવસીય સંગીત સમારોહ યોજાઈ ગયો. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાએલા કાર્યક્રમમાં ગાયક રાજભા ગઢવી અને ગાયિકા ઈશાની દવેએ રાણકી વાવમાં રમઝટ બોલાવી હતી. તેમાં પાટણવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પહેલાં બળવંતસિંહ રાજપૂતે પાટણના બગવાડા દરવાજા મુકામે આવેલી સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા અને વનરાજ ચાવડાના સ્મારકને હાર પહેરાવીને નમન કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે આ રાણીની વાવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી રાજપૂતે પાટણના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, પાટણના સ્થાપના દિવસે જ પાટણનું ગૌરવ એવી રાણકી વાવ મુકામે ઉજવણી યોજાઈ છે એ ગૌરવની વાત છે. રાણી ઉદયમતીએ 11 મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા સાત માળની 27 મીટર ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતુ. આજે એ રાણીની વાવ આખી દુનિયામાં પ્રસિધ્ધ થઈ છે.