
સમાજ સુધારણા ક્ષેત્રે કાર્યરત આર્ય સમાજ કોઈ ધર્મ, સંગઠન કે સંપ્રદાય નથી, એક વિચારધારા છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશભરમાં મોડેલ બને તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
અમૃત મહોત્સવ નિમિત્તે લુડવા આર્ય સમાજના નૂતન ભવનનું રાજ્યપાલશ્રીએ ભૂમિપૂજન કર્યું
સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ શતાબ્દિના અવસરે કચ્છના લુડવા ખાતે આર્ય સમાજના અમૃત મહોત્સવમાં સહભાગી થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
ઋષિ સંસ્કૃતિના પ્રતિકરૂપ એવા કૃષિ સંમેલનનો રાજ્યપાલશ્રીના વરદ હસ્તે પ્રારંભ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના લુડવા ગામે આર્યસમાજ લુડવાના ૭૫ મા સ્થાપના વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવનો આજે પ્રારંભ કરાવ્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ શતાબ્દિના અવસરે કચ્છના લુડવા ખાતે પધારેલા રાજ્યપાલશ્રીએ લુડવા આર્ય સમાજના નૂતન ભવન માટે ભૂમિપૂજન કર્યું હતું. તેમની ઉપસ્થિતિમાં ઋષિ સંસ્કૃતિના પ્રતિકરૂપ કૃષિ સંમેલન યોજાયું હતું.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આર્ય સમાજ, લુડવા અનેક સંઘર્ષોનો સામનો કરીને આજે વટવૃક્ષ બની ગયો છે. આર્ય સમાજ, લુડવાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ નિમિત્તે અભિનંદન આપતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આર્ય સમાજની સ્થાપનાથી લઈને સમાજ ઉદ્ધાર માટે બલિદાન આપનારા તમામ મહાપુરુષોને હું વંદન કરું છું.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારત દેશ હાલમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે લુડવા આર્ય સમાજ પણ પોતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, આર્થિક ઉપાર્જન માટે ગુજરાતમાંથી અનેક લોકોએ વિદેશમાં જઈને વસવાટ કર્યો પણ પોતાની માતૃભૂમિને ક્યારેય વિસારી નથી. આર્ય સમાજ લુડવાના નવા સંકુલ ભવન માટે સહયોગ આપનારા વેલાણી પરિવાર સહિત માતૃભૂમિના વિકાસ માટે હંમેશાં યોગદાન આપનારા મહાનુભાવોને રાજ્યપાલશ્રીએ ધન્યવાદ આપ્યા હતા.
સ્વામી દયાનંદ સરસ્વતી લિખિત ક્રાંતિકારી સત્યાર્થ પ્રકાશ ગ્રંથમાંથી પ્રેરણા લઈને આર્ય સમાજની વિચારધારાને આગળ વધારવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. બાળકોને આર્ય સમાજના મૂલ્યવાન સંસ્કાર આપીને જીવન ઘડતર કરવા સૌ વાલીઓને સૂચન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ધનનો ઉપયોગ ધર્મના કાર્યોમાં કરીને સુખનું પુણ્ય મેળવવું જોઈએ. સ્વામી દયાનંદજીએ જીવનમાં સત્ય શું છે? અસત્ય શું છે? તે સમજાવીને જીવન જીવવા માટેના આદર્શો ચિંધ્યા છે તે માર્ગે ચાલવું જોઈએ. વેદો જ ધર્મનો માર્ગ છે અને તે ઈશ્વરીય વાણી છે. ભગવાન પૂર્ણ છે જેથી વેદો પણ પૂર્ણ છે. આથી વેદો મુજબ આચરણ કરવું જોઈએ એમ રાજ્યપાલશ્રીએ કહ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, ભારતને આઝાદી અપાવવા માટે આર્ય સમાજમાંથી પણ અનેક યુવાનોએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું. સામાજિક કુરિવાજો દૂર કરવાનું કામ સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યું હતું. દીકરીઓના શિક્ષણની ક્રાંતિકારી શરૂઆતથી માંડીને દુનિયાભરમાં અનેક સમાજ સુધારણાના કાર્યો આર્ય સમાજે કર્યા છે, અને કરી રહ્યો છે. લોકોને વેદોના મહાત્મયનો ફરીથી પરિચય કરાવવાનું કામ આર્ય સમાજની દેન છે. આર્ય સમાજ કોઈ ધર્મ, સંગઠન કે સંપ્રદાય નથી તે એક વિચારધારા છે. રાજ્યપાલશ્રીએ મંચ પરથી લુડવા આર્ય સમાજના નવા સંકુલના બાંધકામ માટે ૨ લાખ રુપિયાની સહયોગ રાશિ આપવાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તે વાતના આનંદ સાથે રાજ્યપાલશ્રીએ અત્રેના કૃષિ સંમેલનમાં ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. આગામી સમયમાં ગુજરાત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરીને દેશભરમાં મોડેલ બને તે દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગામડાઓના ક્લસ્ટર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને તાલીમ અપાઈ રહી છે. આ માટે અલગથી વિશેષ તજજ્ઞોની નિમણૂક કરવામાં આવી રહી છે. ખેડૂતો પોતાનું કૃષિ ઉત્પાદન સીધું જ લોકોને વેચી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
લુડવા ખાતે વેદોના મંત્રોચ્ચાર સાથે પવિત્ર વાતાવરણમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાજીએ યજ્ઞમાં આહુતિ આપી હતી. લેડી ગવર્નર શ્રીમતી દર્શનાજીએ “પ્રભુ કે સહારે..” ભજન ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાજ્યપાલશ્રીનું કચ્છી પાઘડી, કચ્છી સાલ તેમજ સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય ચંદ્રગુપ્તજી, પ્રો.ડૉ. કમલેશકુમાર શાસ્ત્રીજી, આર્ય સમાજ લુડવાના પ્રમુખ શ્રી જયંતિલાલ પોકાર, આર્ય સમાજ, ટંકારાના મહામંત્રીશ્રી માવજીભાઈ પડસુંબિયા, શ્રી જયંતિભાઈ વેલાણી, વડીલશ્રી નાનજીબાપા, શ્રી બિપિનભાઈ, કુમારી અંજલિ, શ્રી વિજયભાઈ વેલાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષ પ્રજાપતિ, માંડવી પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.આર. ઝનકાંત, સમાજ કલ્યાણ અધિકારીશ્રી મિતલબેન પટેલ, માંડવી મામલતદાર શ્રી માધુ પ્રજાપતિ, કિસાન સંઘના પ્રમુખ શ્રી શિવજીભાઈ બરાડીયા, અગ્રણી ખેડૂત શ્રી હરિશભાઈ ઠક્કર સહિત બૃહદ લુડવા આર્ય સમાજના મહાનુભાવો સહિત ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.