GUJARAT IS READY FOR CORONA ATTACK : કોરોના સામે લડવા ગુજરાતની હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભા કરાયા, ઓક્સિજન ટેન્ક, PPE કિટ, વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઈ

GUJARAT IS READY FOR CORONA ATTACK : ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયુ છે. ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કીટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

GUJARAT IS READY FOR CORONA ATTACK : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કુલ 8 કેસ નોંધાયા છે. જેમાં આજે કડીમાં 51 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેની તબિયત સ્થિર છે. તો અમદાવાદ શહેરમાં ગઇકાલે (20 મે)ના રોજ 7 કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ 7 દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા છે જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા છે પરંતુ તમામ દર્દીઓ ઘરે જ છે. કોઈપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી નથી. સિવિલ હોસ્પિટલમાં જો કોઈ કેસ આવે તો હોસ્પિટલ દર્દીની સારવાર માટે સજ્જ છે. 1200 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન સાથેના છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક પણ આવેલી છે. તમામ દવાઓનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં છે. અગાઉ જ્યારે કોરોના વાયરસ હતો ત્યારે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ દર્દીઓની સારવાર યોગ્ય રીતે કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી કોરોના આવ્યો છે ત્યારે દર્દી આવે તેને યોગ્ય સારવાર મળી રહેશે. લોકોએ કોરોનાથી અગાઉની જેમ સાવચેતી રાખવાની છે.
GUJARAT IS READY FOR CORONA ATTACK : રાજકોટમાં હજુ સુધી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી, તેમ છતાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આઇસોલેશન વોર્ડ સહિતની તમામ સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં પીપીઈ કીટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. જરૂર પડ્યે 200 બેડ તાત્કાલિક ઉભા કરવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.

રાજકોટ સિવિલના ઇન્ચાર્જ મીડિયા કો-ઓર્ડીનેટર ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, હજુ સુધી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડનો કોઈ કેસ નોંધાયેલ નથી. પરંતુ સિવિલ હોસ્પિટલ પાસે સારવારની બધી સુવિધા ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં એક આઇસોલેટેડ વોર્ડ સંપૂર્ણપણે તૈયાર જ રખાયો છે. જેમાં વેન્ટિલેટર, ઓક્સિજન, પીપીઇ કિટ સહિતની વ્યવસ્થા સાથેના 20 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. જરૂર પડ્યે 200 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી તૈયારી પણ કરવામાં આવી છે.
ડો. ચાવડાએ લોકોને કોરોનાના આ નવા વેરિઅન્ટથી ગભરાવાને બદલે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાનો આ વેરિઅન્ટ ખાસ ઘાતક નહીં હોવાથી લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. સામાન્ય શરદી-ઉધરસ જેવા કોઈ લક્ષણો જણાય તો પણ તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા, જેમ કે માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર જાળવવા અને હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
GUJARAT IS READY FOR CORONA ATTACK : વડોદરાની સયાજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, હજી સુધી વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જોકે, ભારત અને ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા કેસોને પગલે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં કુલ 1513 બેડની વ્યવસ્થા છે, જો જરૂર જણાશે તો ઇમરજન્સી વિભાગને કોરોના વોર્ડ બનાવવામાં આવશે. આ ઉપરાંત ઓક્સિજન અને વેન્ટિલેટરથી પણ સયાજી હોસ્પિટલ સજ્જ છે. અમારી પાસે 20 હજારની એક એવી બે ઓક્સિજન ટેન્ક આવેલી છે, આ ઉપરાંત જમ્બો સિલિન્ડર અને ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં છે સાથે દવાઓ પણ ઉપલબ્ધ છે.
સુરત સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, હજી સુધી સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જોકે, ભારત અને ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા કેસોને પગલે જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ પણ શરૂ કરી શકાશે. આ ઉપરાંત હોસ્પિટલ ઓક્સિજન અને વેન્ટિલેટર સહિત તમામ રીતે સજ્જ છે.