FIRE IN WOODEN FECTORY : લાકડાના ગોડાઉનમાં આગ

ગાંધીધામ થી ભચાઉ ના રસ્તા ઉપર આવેલા દયાનંદ ગામમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે ગોડાઉનની બંને બાજુ પેટ્રોલ પંપ છે અને આને કારણે હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો છે
ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઇવે પર જવાહરનગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે. શંકર ટિમ્બર માર્ટ નામના લાકડાંના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી. ગોડાઉનથી માત્ર 25-30 મીટરના અંતરે ગાયત્રી પેટ્રોલ પંપ આવેલો હોવાથી સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી વિકરાળ આગે પેટ્રોલ પંપને ત્રણ બાજુથી ઘેરી લેતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
ફાયર ટીમો ઘટનાસ્થળે દોડી
આગની જાણ થતાં જ આસપાસનાં ગામોનાં પાણીનાં ટેન્કર્સ ઘટનાસ્થળે પહોંચ્યાં છે. ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. 10 ટીમના ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યાં છે.
ધુમાડાના ગોટા 5 કિ.મી. સુધી દેખાયા
આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
હાઇવે પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ
ગાંધીધામ મહાનગરપાલિકા ફાયર શાખા વિભાગના હેમંત દાદલાની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે લાકડાંના ભૂંસાની પાછળ તરફની આગ મહદંશે કાબૂમાં આવી ગઈ છે, જ્યારે આગળ તરફના પેટ્રોલ પંપ પાસેની આગને કાબૂમાં લેવા માટે ઇઆરસી, કેપિટી, ભચાઉ અને કોર્પોરેશનનાં કુલ 10 ફાયર ફાયટર આગ બુઝાવવા જહેમત લઈ રહ્યાં છે. ઘટનાસ્થળની બન્ને બાજુ 3 કિલોમીટર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, હાલ એક બાદ વાહનને આગળ જવા દેવામાં આવી રહ્યાં છે. આગ પર નિયંત્રણ મેળવતાં હજી બેથી ત્રણ કલાકનો સમય લાગી શકે છે.
પેટ્રોલ પંપ અને હાઇવે બંધ કરાયો
આ અંગે પડાણા ગામના પૂર્વ સરપંચ અને જિલ્લા પંચાયત સભ્ય ધનજીભાઈ હુંબલે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે સંભવિત ગરમીના કારણે લાકડાં વચ્ચેના ભૂંસામાં આગ ભભૂકી છે, જેણે હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. છ માર્ગીય નેશનલ હાઇવે બંને તરફથી પોલીસ અને એન.એચ.આઈ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. આગથી સાવ નજીક પેટ્રોલ પંપ હોવાથી એને બંધ કરી દેવાયો છે અને પેટ્રોલ પંપના સ્ટાફને સલામત સ્થળે તંત્રની સૂચના હેઠળ ખસેડી લેવામાં આવ્યો છે. કંડલા, ગાંધીધામ અને ભચાઉની કુલ 10 ફાયરની ટીમો સાથે 15થી 16 જેટલાં પાણીનાં ટેન્કર જીવના જોખમે આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યાં છે.
રવિવારે કંડલા પોર્ટ પર આગ લાગી હતી
કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે રવિવાર સવારે એક મોટી દુર્ઘટના સામે આવી હતી. પોર્ટની જેટી નંબર 8 પર એવી જોશી નામની ખાનગી કંપનીના ક્રેન મશીનમાં અચાનક આગ લાગી હતી. આગની ઊંચે ઊડતી જ્વાળાઓથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.
ગત 29 માર્ચના રોજ અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. પવનની ગતિમાં વધારો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી, જોકે 7 જેટલાં ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઇ બપોરે લાગેલી આગ પર મોડીરાત્રે કાબૂ મેળવ્યો હતો.