DAYAPAR NEWS : દયાપર ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં વસ્તી આધારિત પાણી વિતરણ અને નવી આંગણવાડીની માંગ

DAYAPAR NEWS : લખપત તાલુકાના દયાપર ગામે ગ્રામ પંચાયત કચેરીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ગામના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠકમાં મુખ્ય રજૂઆત પાણી વિતરણને લગતી હતી. હાલમાં 2011ની વસ્તી ગણતરી મુજબ પાણી વિતરણ થતું હોવાથી લોકોને મુશ્કેલી પડે છે. વર્તમાન વસ્તીને ધ્યાનમાં રાખી પાણીનો જથ્થો વધારવાની માંગ કરવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્રો અંગે પણ કેટલીક મહત્વની રજૂઆતો થઈ હતી. આંગણવાડી કેન્દ્રોમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી. મુસ્લિમ વિસ્તારમાં નવી આંગણવાડી કેન્દ્ર શરૂ કરવાની પણ માંગ થઈ હતી.
DAYAPAR NEWS : શિક્ષણ ક્ષેત્રે પણ કેટલાક સુધારાની માંગ કરવામાં આવી હતી. કન્યાશાળામાં મધ્યાહ્ન ભોજન માટે શેડ બનાવવા અને જાગરીયાવાસ-મફતનગર વિસ્તારમાં નવી પ્રાથમિક શાળા મંજૂર કરવાની રજૂઆત થઈ હતી. જાગરીયા વાસમાં પેવર બ્લોક નાખવાની માંગ પણ કરવામાં આવી હતી.
બેઠકમાં મહિલા સરપંચ જયાબેન પોકાર, ICDS કચેરીના CDPO શિલ્પાબેન સંઘાર સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકના અંતે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.