
સોલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલ પરથી કૂદીને 16 વર્ષના સગીરનો આપઘાત, પોલીસ તપાસ શરૂ
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા ઉમિયા કેમ્પસની જે.એસ. પટેલ (આજોલ) બોયઝ હોસ્ટેલમાં રહેતા 16 વર્ષના સગીર વિદ્યાર્થીએ હોસ્ટેલની ઊંચાઈ પરથી કૂદીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ દેત્રોજના ગીતાપુર ગામના રહેવાસી તુષાર દોલતભાઈ પટેલ આર.સી. ટેકનિકલ કોલેજમાં ડિપ્લોમા મિકેનિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લા એક મહિનાથી હોસ્ટેલમાં રહેતો હતો.
13 ઓગસ્ટના રોજ તુષારે હોસ્ટેલના 11મા અને 12મા માળની વચ્ચે આવેલી ખુલ્લી જગ્યાએથી નીચે કૂદકો માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું મોત થયું હતું.
પરિવારજનોના જણાવ્યા મુજબ, તુષાર ઘટનાના એક દિવસ પહેલા જ ગામડેથી હોસ્ટેલ પર પરત આવ્યો હતો. જોકે, તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સોલા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ હોસ્ટેલનું આશરે દોઢ મહિના અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
