VEER PARIVAR SAHAY YOJANA : ‘વીર પરિવાર સહાય યોજના’ અંતર્ગત દેશના વીર જવાનો અને તેમના પરિવારજનોને કાનૂની સહાયતા માટે મદદ કરવામાં આવશે

VEER PARIVAR SAHAY YOJANA : જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભુજ આર્મી સ્ટેશનના સહયોગથી મિલિટરી સ્ટેશન ખાતે ‘માનવ અધિકાર દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ,નવી દિલ્હી દ્વારા અમલમાં મુકાયેલી ‘વીર પરિવાર સહાય યોજના 2025’ અંગે ઉપસ્થિત જવાનો અને અધિકારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અપાયું હતું.
ઉપસ્થિત જવાનોને સંબોધતા મુખ્ય અતિથિ તરીકે આવેલા જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ બી.એમ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનો અને તેમના પરિવારજનોને કાનૂની હક, સહાયતા અને ન્યાય સુલભ બને તે માટે રાષ્ટ્રીય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે.
VEER PARIVAR SAHAY YOJANA : ‘વીર પરિવાર સહાય યોજના” હેઠળ શહીદ જવાનોના પરિવારજનોને મફત કાનૂની સહાય, વળતર યોજનાઓ અંગે માર્ગદર્શન, દસ્તાવેજીકરણમાં સહાય તેમજ કાયદેસર હકો માટે સહકાર આપવામાં આવે છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ દિલીપ પી.મહીડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પેનલ એડવોકેટ પી.ડી.ધોળકિયાએ માનવ અધિકારોના મહત્વ અંગે વિગતવાર માહિતી આપી હતી.
તેમજ રાષ્ટ્રીય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ઉપલબ્ધ મફત કાનૂની સેવાઓ અંગે અવગત કરાવ્યા હતા. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું. જેમાં જવાનોના કાનૂની સહાય અને વિવિધ યોજનાઓના સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ ઉકેલ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કર્નલ શિરીષ સિંઘ એસ.એસ.ઓ, લે.કર્નલ વિક્રમ ડી.ક્યુ.એમ.જી., મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી એચ.એન.લિમ્બાચીયા, મુખ્ય કારકુન સંજય કુમાર પંડયા
તેમજ સુપ્રિટેન્ડેન્ટ હેત પરમાર સહિત સૈનિક વેલ્ફેર ઓફિસના અધિકારીઓ તેમજ કર્મચારીયો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રરક્ષકો તથા તેમના પરિવારજનોને તેમના ન્યાયિક અધિકારોથી અવગત કરવા અને ન્યાયિક સુલભતા સુનિશ્ચિત કરી તેમનું સશક્તિકરણ કરવાનું હતું.