
Rajkot : રાજકોટમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: પતિએ જ સળિયાના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું
Rajkot : રાજકોટના ભગવતીપરા કોપર ગ્રીનસિટીમાં રહેતી સ્નેહા હિતેષ આસોડિયા (ઉં.વ. 33) નામની પરિણીતાની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. 23મી નવેમ્બરના રોજ ઘર નજીક અવાવરૂ જગ્યાએથી માથું ફાડી નાખેલી હાલતમાં સ્નેહાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે કરેલી સઘન પૂછપરછમાં હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકનો પતિ હિતેષ આસોડિયા જ હોવાનું કબૂલ્યું છે. હત્યાનું મૂળ કારણ પતિ-પત્ની વચ્ચે ચાલતો ગંભીર ઘરકંકાસ હતું.
Rajkot : જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર પ્રાથમિક રીતે પતિ હિતેશે ‘પત્ની પાણીપૂરી ખાવા ગઈ અને પરત આવી નથી’ તેવી ગેરમાર્ગે દોરનારી સ્ટોરી ઊભી કરી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચની આગવી ઢબથી થયેલી પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો. હિતેશે કબૂલ્યું કે ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા ત્યારથી જ બંને વચ્ચે સતત ઝઘડાઓ થતા હતા અને પત્ની સ્નેહા તેના પર શંકા કરતી હતી.
Rajkot : પતિ પત્નીના આ વર્તનથી કંટાળી ગયો હતો. ઉપરાંત સ્નેહા બે વર્ષના બાળકને રાખવા પણ તૈયાર ન હોવાથી હિતેશે દરરોજ બાળકને તેના માતા-પિતાને ત્યાં મૂકી આવવું પડતું હતું. જ્યારે શનિવારે (22મી નવેમ્બર) સાંજે પણ પત્નીના કોલ પર ઝઘડો થતાં પતિ ગુસ્સે થયો હતો. તે કારખાનેથી જ લોખંડનો સળિયો લઈને ઘરે પહોંચ્યો. ઘરે આવીને પત્નીને બહાર જમવા જઈએ તેમ કહ્યું હતું. હિતેશ સ્કૂટીમાં લોખંડનો સળિયો આગળ રાખીને પત્નીને પોતાની પાછળ બેસાડી ઘર પાસેની અવાવરૂ જગ્યામાં લઈ ગયો. ત્યાં પાછળથી લોખંડનો સળિયો મારી દીધો સ્નેહાની હત્યા કરી હતી.
Rajkot :લોહીના ડાઘાથી ખૂલ્યું રહસ્ય
પોલીસના જણવ્યાનુસાર, પતિ હિતેશે હત્યા કર્યા બાદ પત્નીના ભાઈને ફોન કરીને ખોટી માહિતી આપી હતી. જોકે, પોલીસે કરેલી તપાસમાં હિતેશનાં કપડાં અને તેના સ્કૂટી પરથી લોહીના ડાઘા મળી આવ્યા હતા, જેનાથી સાબિત થઈ ગયું હતું કે પતિએ જ પત્નીની હત્યા કરી છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.