BHACHAU TRAFFIC PROBLEM : ટ્રાફિક સમસ્યા નિવારવા ભચાઉમાં મુખ્ય બજારથી માંડવીચોક સુધી 300 સ્પ્રિંગ પોલ લગાવાયા

BHACHAU TRAFFIC PROBLEM : ભચાઉ નગરમાં વધતી જનસંખ્યા અને વાહનોના કારણે મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાના નિવારણ માટે પોલીસ પ્રશાસને મહત્વપૂર્ણ પગલું લીધું છે. આ અંગે ભચાઉ પીઆઇ અર્જુનસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ પસંદ કરાયેલા ટ્રાફિક અને અકસ્માત અસરગ્રસ્ત સ્થળોએ 300 જેટલા સ્પ્રિંગ પોલ પોલીસ વિભાગ તરફથી લાગવાયા છે. આગામી સમયમાં પણ આજ પ્રકારે જ્યાં જરૂર છે તે જગ્યાએ વધુ પોલ લગાડવામાં આવશે.

દરમિયાન સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુખ્ય બજારથી માંડવીચોક સુધી ટ્રાફિકજામની સમસ્યા વધી રહી હતી. પોલીસે આડેધડ પાર્કિંગ પર અંકુશ મેળવવા માટે આ પહેલ કરી છે. સવાર-સાંજ ખરીદી માટે આવતા ગ્રામીણ, સ્થાનિક અને કારખાનેદારોની ભીડ અને નાના-મોટા વાહનોના કારણે અવ્યવસ્થા સર્જાતી હતી. લોકો પોતાની ગાડીઓ અને મોટરસાઈકલ પાર્ક કરીને ખરીદી માટે જતા હતા. આ કારણે પોલીસને ટ્રાફિક નિયંત્રણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આ સમસ્યાના સમાધાન માટે બે ફૂટની લંબાઈના સ્પ્રિંગ પોલ મહારાણા પ્રતાપ ગેટથી ઘંટી ચોક સુધી લગાવવામાં આવ્યા છે. આ માર્ગને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે જેથી અવરજવર સરળ બને. કુલ 300 જેટલા પોલ મૂકવામાં આવ્યા છે. ભચાઉ પોલીસના જણાવ્યા મુજબ આ પગલાંથી માર્ગ પર નિયંત્રણ આવશે.
મહારાણા પ્રતાપ ગેટ પાસે કેટલીક જગ્યાએ લારીવાળા માર્ગની નજીક ઊભા રહે છે. કેટલાક વેપારીઓ દુકાનો બહાર અનેક સામગ્રી રાખતા હોવાથી રસ્તો અવરોધાય છે. ફૂટપાથ પણ બિનઉપયોગી થઈ ગઈ છે. માર્જિન સ્પેસ પણ ધીરે ધીરે ઓછી થતી જાય છે. આના કારણે રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે. જાગૃત નાગરિકોનું કહેવું છે કે આ પરિસ્થિતિ નિવારવા યોગ્ય કાર્યવાહી કરવી સમયની માંગ છે.