કરોડો રૂપિયાની કિંમતની 3800 ચો.મી. જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે કરાઈ, વડોદરાના કલેકટરે સુઓમોટા દાખલ કરી નામ કમી કર્યા

કરોડો રૂપિયાની કિંમતની જમીન : વડોદરા શહેરના વાડી શાસ્ત્રીબાગ પાસે આવેલી સોનાની લગડી જેવી 3,800 ચો. મી. જમીનમાં સરકારે સુઓમોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે આજે પૂર્વ મામલતદારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, આ જમીનમાં લઘુમતી પરિવારના 7 સભ્યોએ પોતાની જમીન હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમાં નામો દાખલ કરાવી દીધા હતા.

કરોડો રૂપિયાની કિંમતની જમીન : આ જમીન અંગેની સમગ્ર વિગત એવી છે કે, વાડી શાસ્ત્રીબાગ પાસે સર્વે નં. 1424/2 અને 1424/1 વાળી સોનાની લગડી જેવી 3,800 ચો. મી. જમીન આવેલી છે. કરોડો રૂપિયાની કિંમતની આ જમીન વર્ષો પૂર્વે શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે હતી. સમયાંતરે આ જમીનમાં આયશાબીબીના 7 વારસદારોએ આ જમીન સર્વે નંબર 68 વાળી છે અને પોતાની માલિકીનું હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમાં નામો દાખલ કરાવી દીધા હતા અને આ જમીનનો કબજો લીધો હતો.
આ જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાની જાણ ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પરવારને થતા તેઓએ વિગતો મેળવી હતી અને આ અંગેની જાણ વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાને કરી હતી. ત્યાર બાદ ધારાસભ્યએ જમીનની હકીકતથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વાકેફ કર્યા હતા.
ગૃહમંત્રીએ વડોદરા જિલ્લા કલેકટરને આ કેસની તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરે શાસ્ત્રીબાગ પાસેની જમીનની તપાસ કરાવ્યા બાદ આ જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાનું જણાઈ આવતા કલેકટરે સુઓમોટો લાઈ આ જમીનમાંથી આયશાબીબીના વારસદારોએ દાખલ કરેલા નામો કમી કરીને શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામો દાખલ કરવા હુકમ કર્યો હતો.

વડોદરા જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલિયાના હુકમ બાદ પૂર્વ મામલતદાર અલ્પેશ જોશી આજે પોલીસ બંદોબસ્ત સાથે રેવન્યુ સર્વે નં. 1424/2 અને 1424/1 વાળી 3,800 ચો. મી. જમીનનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી સમયે વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા, ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર સહિત સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

મૂળ ગણપતિ મંદિરની જમીન સરકાર હસ્તક લેવા માટે પ્રયત્ન કરનાર ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવારે જણાવ્યું હતું કે, 1970માં આ જમીન ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાની જાણ થતાં ધારાસભ્ય બાલકૃષ્ણને રજૂઆત કરી હતી. તેઓએ સરકારમાં રજૂઆત કરીને આ જમીનમાં શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરાવવા પ્રયાસો કર્યા હતા જે આજે સફળ થયા છે. જ જેમીનમાં સરકારે સુઓમોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરી જમીનનો કબજો લીધો છે. આ જમીનમાં દાખલ થઈ ગયેલા આયશાબીબી પરિવારના 7 સભ્યોના નામ કમી કરી દેવામાં આવ્યા છે.
આ જમીન અંગે પૂર્વ મામલતદાર અલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે, સર્વે નંબર 1424/2 અને 1424/1 વાળી 3800 ચો.મી. જમીનમાં શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા માટે કલેક્ટરે હુકમ કર્યો હતો. જેના આધારે આજે પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો છે. આ જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.