રાજસ્થાનની સરકારી શાળામાં બાળકો ભણતા હતા અને ઇમારત ધરાસાઈ થતાં 8 બાળકોના મોત, 27 ઘાયલ

ઝાલાવાડમાં સરકારી શાળાના મકાનનો એક ભાગ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 8 બાળકોના મોત થયા છે, જ્યારે 8 બાળકો હજુ પણ ગંભીર રીતે ઘાયલ છે. 27 બાળકો ઘાયલ છે. શુક્રવારે સવારે જિલ્લાના મનોહરથાણા બ્લોકની પીપલડા સરકારી શાળામાં એક ક્લાસરૂમ ધરાશાયી થયો હતો.

તેમાં અભ્યાસ કરતા 35 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે બે શિક્ષકો પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

સ્કૂલમાં હાજર એક વિદ્યાર્થિનીએ કહ્યું કે છત ધરાશાયી થઈ એ પહેલાં કાંકરા પડી રહ્યા હતા. જેની જાણકારી ટીચરને પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ ધ્યાન આપ્યું નહીં. ટીચર્સ અને ગામના લોકોની મદદથી બધા જ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા.

મનોહરથાના હોસ્પિટલના જણાવ્યા અનુસાર, 5 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.
વરસાદ વચ્ચે ક્લાસરૂમ ધરાશાયી, 4 મૃતકોની ઓળખ થઈ

ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ શાળામાં કુલ 7 ક્લાસરૂમ છે. અકસ્માત સમયે શાળાના બે ક્લાસરૂમમાં 71 બાળકો હતા. અકસ્માત થયો તે ક્લાસરૂમમાં 7મા ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. જ્યારે ક્લાસરૂમ ધરાશાયી થયો ત્યારે શાળામાં બે શિક્ષકો હતા. જોકે, તેમને કોઈ ઈજા થઈ નથી.
ઝાલાવાડ હોસ્પિટલમાં લાવવામાં આવેલા બાળકોની હાલત ખૂબ જ ખરાબ હતી. મોટાભાગના બાળકો બેભાન અવસ્થામાં હતા.

એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢવામાં આવતાની સાથે જ માતા-પિતા પોતાના બાળકોને હાથમાં લઈને વોર્ડ તરફ દોડી ગયા. થોડીવાર માટે આખી હોસ્પિટલમાં અંધાધૂંધી છવાઈ ગઈ.
મનોરહથાણાના હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું કે કેટલાંક બાળકોને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
ગામલોકોએ જણાવ્યું હતું કે શાળાના મકાનનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. ઘાયલ બાળકોનાં જૂતાં અને ચંપલ વેરવિખેર પડી ગયાં છે.