FUNERAL OF EX CM RUPANIJI : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ 11:30 વાગ્યે સોંપવામાં આવશે, આજે સાંજે અંતિમવિધિ

FUNERAL OF EX CM RUPANIJI : 12 જૂને (ગુરૂવાર) અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુખદ નિધન થયા છે. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન)ના રોજ 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે, પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.
વિજય રૂપાણીના પરિવારજનો ગાંધીનગરથી સિવિલ જવા રવાના
FUNERAL OF EX CM RUPANIJI : વિજય રૂપાણીના પાર્થિવ દેહને લેવા માટે વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી, રાધિકા રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો ગાંધીનગરથી સિવિલ હોસ્પિટલ જવા રવાના થઇ ગયા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે ઠેર-ઠેર પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
- 17 જૂને રાજકોટના રેસકોર્સ ખાતે બપોરે 3થી 6 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન
- 19 જૂને ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 થી 12 વાગ્યે પ્રાર્થનાસભા યોજાશે
- 20 જૂને ભાજપ કાર્યાલય ખાતે સાંજે 4 થી 6 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કરાશે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમના પરિવારના સભ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચશે. આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે પુરષોત્તમ રૂપાલા ફરી એકવાર પૂર્વ સીએમ રૂપાણીના પરિજનોને સાંત્વના આપતા ગાંધીનગરમાં આવેલા તેમના બંગલે પહોંચ્યા હતા.
FUNERAL OF EX CM RUPANIJI : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પુષ્ટી કરતાં કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયાની પુષ્ટી થઈ ચૂકી છે અને તેમના ડીએનએ પણ મેચ થઈ ગયા છે. રવિવારે (15 જૂન) સવારે 11:10 કલાકે ડીએનએના નમૂના મેચ થયા હતા. હવે તેમનો પાર્થિવ દેહ આજ સાંજ સુધીમાં રાજકોટ લઇ જવામાં આવશે. માહિતી મુજબ રાજકોટમાં વિજય રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહ લવાશે જ્યાં પહેલાથી અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.
FUNERAL OF EX CM RUPANIJI : સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપી હતી કે, “એર ઇન્ડિયા દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહો પૈકી, 92 મૃતદેહોનું DNA મેચિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જોકે, કેટલાક મૃતદેહોમાં પુનરાવર્તન હોવાને કારણે વાસ્તવિક વ્યક્તિઓની સંખ્યા 87 છે. અત્યાર સુધીમાં 47 મૃતદેહો અહીંથી તેમના સંબંધીઓ દ્વારા લઈ જવામાં આવ્યા છે.” આ માહિતી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો અને રાહત કાર્ય સાથે સંકળાયેલા અધિકારીઓ માટે મહત્વપૂર્ણ છે.