
ગુજરાતમાં ગુજકેટની પરીક્ષા:અમદાવાદના 11 હજાથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટની પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા દરમિયાન જિલ્લાના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્યમાં 1.28 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે અમદાવાદમાં 11 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
કુલ 3 સેશનમાં લેવાશે પરીક્ષા
આ પરીક્ષામાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત એમ ચારેય વિષયોના 40 માર્ક્સના પ્રશ્નો રહેશે, કુલ 160 માર્ક્સના પ્રશ્નો રહેશે. તમામ વિષયમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકનો અમલ કરવામાં આવ્યો છે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના રહેશે. જેના માટે કુલ 120 મિનિટ ફાળવવામાં આવશે. જ્યારે જીવ વિજ્ઞાનના 40 માર્ક્સના પ્રશ્નો અને ગણિતના 40 માર્ક્સના પ્રશ્નો જે બંને માટે 60-60 મિનિટનો સમય આપવામાં આવશે. પરીક્ષાના પ્રશ્નપત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી અને ત્રણેય માધ્યમમાં હશે.