
“રાજકોટમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી સંપન્ન”
અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરિયાત… મેયર શ્રીમતિ નયનાબેન
દેશમાંથી કુરિવાજ, અંધમાન્યતાને તિલાંજલિ આપીએ… દંડક મનિષભાઈ રાડીયા.
માનવ સુખાકારી માટે વિજ્ઞાન અભિગ જરૂરી…. જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી.
રાજમાર્ગો ઉપર વિજ્ઞાન સુત્રોથી લોકોનું ધ્યાન ખેંચ્યું.
વિજેતાઓને મેડલ – પ્રમાણપત્ર અપાયા. ન્યૂ પરિમલ સ્કૂલને અભિનંદન વર્ષા.
રાજયભરમાં વિજ્ઞાન જાથાના કાર્યક્રમોને સફળતા મળી.

અમદાવાદ : રાજયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણીમાં વિજ્ઞાન રેલી, ચમત્કારોથી ચેતો કાર્યક્રમ, વિવિધ સ્પર્ધાઓ સાથે સંપન્ન થઈ હતી. ભારત જન વિજ્ઞાન જાથાના રાજયવ્યાપી કાર્યક્રમોને સફળતા મળી હતી. અંધશ્રદ્ધાને લોકભાગીદારીથી દેશવટો આપવા સાથે વિજ્ઞાન અભિગમથી રાષ્ટ્રની પ્રગતિ થવાની છે તેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
રાજયકક્ષાના કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, દંડક મનીષભાઈ રાડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણી, ચંદ્રકાંતભાઈ મંડિરની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીવાએ રેલીને વિદાય આપતા જણાવ્યું કે અંધશ્રદ્ધાને લોકભાગીદારીથી દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. વિજ્ઞાનથી માનવ જાત સુખી સંપન્ન થયો છે. ચમત્કારપ્રિય માનસિકતાને તિલાંજલિ આપવાની જરૂર છે. જાથાની પ્રવૃત્તિની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી.
મુખ્ય મહેમાન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન રંગાણીએ વિજેતાઓને મેડલ આપતા જણાવ્યું કે વિજ્ઞાન અભિગમથી રાષ્ટ્રની પ્રગતિ થશે. અંધશ્રદ્ધાથી માનવજાતને નુકશાન થયું છે. ભાવિ પેઢીને પુરૂષાર્થ, વાસ્તવિકતા, વિજ્ઞાનલક્ષી દ્રષ્ટિકોણ લાભપ્રદ છે. જાથા વર્ષોથી કામગીરી કરે છે તેથી લોકચાહના છે.
મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડીયાએ જાયા સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતા. અંધશ્રદ્ધા સામે જાથા બેનમુન કામગીરી કરે છે. માનવ ધર્મ – રાષ્ટ્ર ધર્મની વાત કરી હતી. આજે દેશભરમાં વિજ્ઞાન દિનની ઉજવણી થઈ રહી છે તે ભાવિ પેઢી માટે લાભકારક છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આજે રાજયના જિલ્લા, તાલુકા, શાળાઓમાં વિજ્ઞાન દિનની ઉજવણીમાં સફળતા મળી છે તેના કારણમાં જાથાનું લોકહૃદયમાં સ્થાન છે. રાજકોટમાં વિજ્ઞાન રેલીએ જબરૂ આકર્ષણ ઉભું કર્યું હતું. માર્ગો ઉપર વિજ્ઞાન આવે અંધશ્રદ્ધા ભાગે, ભુવા ભાગેના સુત્રોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ન્યૂ પરિમલ સ્કૂલમાં સંચાલક, શૈક્ષણિક સ્ટાફના ઉત્સાહના કારણે આયોજનોને સફળતા મળી હતી.
વધુમાં પંડયાએ ડૉ. સી. વી. રામનની ઈફેકટ, પ્રભાવ શોધની વાત કરી છાત્ર-છાત્રાઓને પ્રોત્સાહિત કરી નવા સંશોધનના માર્ગની વાત કરી હતી. વિજ્ઞાનમાં કોઈપણ ઘટના પાછળ વિજ્ઞાનનો ક્રિયા-કારણનો સંબંધ, પ્રયોગસિદ્ધ, તર્કબદ્ધ, સાર્વત્રિક નિયમ બાબતે જાણકારી આપવામાં આવી હતી. વિજ્ઞાનમાં જો અને તો ને સ્થાન નથી. જાથા બોલે છે તે પ્રમાણે આચરણ હોય લોકોમાં વિશ્વાસ ઉભો થયો છે. જાથા સામેના આક્ષેપો બેબુનિયાદ સાબિત થયા છે. જાથાની તટસ્થતા બાબતે કોઈ શંકા કરતું નથી. આજે જિલ્લા, તાલુકા મથકે સ્પર્ધાઓમાં પ્રાથમિકથી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વૈજ્ઞાનિક મિજાજ કેળવવાના કાર્યક્રમોએ લોકચાહના મેળવી હતી.
શાળાના ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઈ મંડિર, તેની ટીમનું જાથાએ સન્માન કર્યું હતું. મંડિર પરિવાર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિમાં બહાર લાવવા માટે કટિબદ્ધ હોય છે. આ શાળાના કાર્યક્રમોથી વાલી, શિક્ષણપ્રેમીઓમાં હુંકનું વાતાવરણ ઉભું થાય છે. આચાયાં અલ્પાબેન, બ્રીજેશભાઈ મંડિરે શાળાનો પરિચય આપી આગામી વિજ્ઞાન મેળાની માહિતી આપી હતી. છાત્ર-છાત્રાઓની નવી સંશોધન વૃત્તિને તક આપવામાં આવી છે. વિજ્ઞાન પ્રદર્શનથી શાળાના બાળકો, છાત્રો, વાલીને લાભ થશે. વિજ્ઞાન પ્રત્યેની રૂચિથી લોકોને અભિમુખ કરવામાં આવશે.
વિજ્ઞાન રેલીમાં ન્યૂ પરિમલ સ્કૂલના છાત્ર-છાત્રાઓ, શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત જાથાના અંકલેશ ગોહિલ, નિર્ભવ જોશી, રોમિત રાજદેવ, ભાનુબેન ગોહિલ સહીત જાગૃતોએ મશાલ સરઘસ, વિજ્ઞાન સુત્રો, બેનર સાથે આગેવાની લીધી હતી. શાળાના વિદ્વાન શિક્ષક રમેશભાઈ વ્યાસે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. માર્ગો ઉપર માઈક ઉપર વિજ્ઞાન સુત્રો બોલાવી છાત્ર-છાત્રાઓને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના સંચાલકો અલ્પાબેન, બ્રિજેશભાઈ મંડિર અને ચંદ્રકાંતભાઈ મંડિરે સ્પર્ધાઓ, વિજ્ઞાન રેલીનું સફળ સંચાલન કરી સફળતા પ્રાપ્ત કરી હતી.
રાજયભરમાં જિલ્લા-તાલુકા મથકે વિજ્ઞાનની વિવિધ સ્પર્ધાઓ, અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો સાથે વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગામેગામ જાગૃતો જોડાયા હતા.
રાજયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.