
ગાંધીધામમાં વેપારી પાસેથી ₹20 લાખની માંગ અને બદનામ કરવાનો આક્ષેપ, પોલીસ ફરિયાદ નોંધાઈ
ગાંધીધામ શહેરમાં એક વેપારી પાસેથી ₹20 લાખની માંગણી કરી અને ન્યૂઝ પેપરમાં સમાચાર પ્રકાશિત કરીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ગાંધીધામના સેક્ટર-1 વિસ્તારમાં રહેતા અશોક સગાલચંદ ચંદન (લોહાણા)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અંદાજે બે મહિના પહેલાં જીતુ શંકર વજિરાણીએ તેમને વોટ્સએપ કોલ કરીને તેમના પિતાએ પ્લોટ વેચાણથી મળેલી રકમ પર હક હોવાનું કહી રૂપિયા 20 લાખની માંગણી કરી હતી.
ફરિયાદી અનુસાર, તેમણે પ્લોટનું વેચાણ કાયદેસર દસ્તાવેજી પ્રક્રિયા દ્વારા થયેલું હોવાનું તેમજ કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર બાકી ન હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, આરોપીએ ‘ધ ગુજરાત ટાઈમ્સ’ નામના અખબારમાં 11 જુલાઈના અંગ્રેજી અને 21 તથા 24 જુલાઈના ગુજરાતી અંકમાં ફરિયાદી વિરુદ્ધ સમાચાર પ્રકાશિત કરાવી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમાચાર બાદમાં ઓસ્લો સોસાયટી વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર મામલે ગાંધીધામ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
