
TMC મમતા બેનરજીની પાર્ટી ના બે ટુકડા
TMC પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલી આંતરિક તિરાડ હવે મહારાષ્ટ્રના રાજકીય મોડેલ તરફ આગળ વધી રહી છે. પાર્ટીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય ઋતબ્રત બેનરજીએ વિધાનસભામાં 50થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.
શું મહારાષ્ટ્ર જેવું પુનરાવર્તન થશે…?
TMC જો ઋતબ્રત બેનરજીનો આ દાવો સાચો પડે, તો TMC માં બે ફાડિયાં પડવા નિશ્ચિત છે. મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદે અને અજિત પવારના જૂથે પોતપોતાની પાર્ટીનું નામ અને પ્રતીક મેળવવા માટે કાનૂની જંગ લડ્યો હતો, તેવી જ સ્થિતિ હવે બંગાળમાં જોવા મળી શકે છે. જો તેમની પાસે ખરેખર 50થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોય, તો તે બંધારણની દસમી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) હેઠળ નિર્ધારિત 2/3 બહુમતીના આંકડાને પણ પાર કરી શકે છે, જે કાનૂની રીતે તેમને સુરક્ષિત કરી શકે છે.
TMC મમતા બેનરજીના નેતાઓએ ધારાસભ્યોની ખોટી સહી કરી હોવાનો આરોપ
TMC આ વિવાદની શરૂઆત 6 મેના રોજ થઈ હતી, જ્યારે ઋતબ્રત બેનરજી અને સંદીપન સાહાએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના ઠરાવ દસ્તાવેજ પર નેતા વિપક્ષ અને અન્ય હોદ્દેદારોના નામ નક્કી કરવા માટે તેમની સહીઓ બનાવટી રીતે કરવામાં આવી હતી. આ આક્ષેપ બાદ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
TMC અભિષેક બેનરજી વિરુદ્ધ ભારે નારાજગી હોવાના સંકેત
પાર્ટીની અંદરનો મુખ્ય વિવાદ અભિષેક બેનરજીની નેતાગીરી અને પક્ષમાં IPACની વધતી દખલગીરીને લઈને છે. સોમવારે ધારાસભ્ય કુણાલ ઘોષે આરોપ લગાવ્યો હતો કે આ બળવાખોર નેતાઓ પાર્ટી તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઋતબ્રત બેનરજી અને સાહા MLA હોસ્ટેલમાં અનેક ધારાસભ્યો સાથે મુલાકાત કરીને પોતાની તાકાત વધારી રહ્યા છે.
હું TMCમાં જ છું, અભિષેક બેનરજીની કોઈ હેસિયત નથી: ઋતબ્રત બેનરજી
ઋતબ્રત બેનરજીએ ગઇકાલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પક્ષે મને કાઢી મૂક્યો છે પણ હું માનું છું કે હું હજુ TMCમાં જ છું અને વિધાનસભામાં અભિષેક બેનરજીની કોઈ હેસિયત નથી.
ગણિત શું કહે છે?
વિધાનસભામાં TMC ના કુલ 80 ધારાસભ્યો છે. નવા જૂથને માન્યતા મેળવવા માટે બંધારણીય રીતે 52 ધારાસભ્યોની જરૂર છે. રિજુ દત્તાએ પણ સ્વીકાર્યું છે કે ઋતબ્રત બેનરજી સાથે 59 ધારાસભ્યો છે. જો આ આંકડો સાચો સાબિત થાય, તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આ જૂથ સુરક્ષિત ગણાશે અને તેઓ પાર્ટીના નામ તથા સિમ્બોલ પર પોતાનો દાવો મજબૂત કરી શકશે.
TMC કલ્યાણ બેનરજીનો પલટવાર
બીજી તરફ, મમતા બેનરજીની નજીક ગણાતા સાંસદ કલ્યાણ બેનરજીએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને સોભનદેવ ચટ્ટોપાધ્યાયને નેતા વિપક્ષ બનાવવાની માગ કરી છે. તેમણે આશિમા પાત્રા અને નયના બંદોપાધ્યાયને ડેપ્યુટી લીડર તથા ફરીહાદ હાકિમને ચીફ વ્હીપ બનાવવાની ભલામણ કરી છે.