BREAKING : Caste-Based Census : કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય, જનગણનાની સાથે જાતિ આધારિત વસ્તીગણતરી થશે

Caste-Based Census : કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે, તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે.’
Caste-Based Census : વસ્તી ગણતરીમાં જ્ઞાતિના મુદ્દાને માત્ર ઓ.બી.સી.ની ગણતરી પૂરતો સીમિત કરવાની જરૂર નથી. પરંતુ પ્રત્યેક ભારતીયના ધર્મની જેમ તેની જ્ઞાતિ પણ જાહેર થવી જરૂરી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં ૨૮,૭૦,૦૦૦ (૦.૨૭%) ભારતીય નાગરિકોએ પોતાને ધર્મવિહીન જાહેર કર્યા હતા. જો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો કેટલા ભારતીયો પોતાને જ્ઞાતિમુક્ત માને છે તેનાં પણ પારખાં થઈ શકશે. જો દલિતો આદિવાસીઓને તેમની જ્ઞાતિ જાહેર કરવી જરૂરી છે તો બાકીના ભારતીયોને તેમાંથી મુક્ત રાખવા ઉચિત નથી. વળી જ્ઞાતિવાર વસ્તીના આંકડા ઉપલબ્ધ થાય તો સરકારને તેની જ્ઞાતિ આધારિત સમાજ કલ્યાણ યોજનાઓને વધુ સારી બનાવવામાં મદદ પણ મળી રહેશે
Caste-Based Census : રાજકીય બાબતોની કેબિનેટ કમિટી સુપર કેબિનેટ તરીકે ઓળખાય છે. કારણકે, તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સામેલ છે.
Caste-Based Census : રાજકીય પક્ષો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની તરફેણ અને વિરોધ તેમની રાજકીય ગણતરીઓના આધારે ફેરવતા રહે છે. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી દેશમાં વિઘાતક નીવડશે અને તેનાથી દેશમાં જ્ઞાતિના ધોરણે ભાગલા પડશે તેવી દલીલો તેના વિરોધીઓ કરે છે. જો કે તેઓ એ બાબતે નિરુત્તર છે કે આપણો દેશ બિન-સાંપ્રદાયિક છે અને છતાં વસ્તી ગણતરીમાં ધર્મની ગણતરી થાય છે તેનું શું? જો દેશના ધર્મના ધોરણે ભાગલા થયા હોય અને તે પછી આપણા બંધારણે બિન-સાંપ્રદાયિકતાનો આદર્શ સ્વીકાર્યો હોય તો પછી વસ્તી ગણતરીના પત્રકમાં ધર્મનું કોલમ શા માટે હોવું જોઈએ ? જો વસ્તી ગણતરીમાં ધર્મને સામેલ કરવા છતાં બિન-સાંપ્રદાયિકતા જળવાઈ રહેતી હોય તો જ્ઞાતિવિહીન રાજ્યની કોઈ ઘોષણા વિના જ્ઞાતિવાર વસ્તીના આંકડા જાહેર થાય તો દેશ કઈ રીતે વિભાજિત થશે તેનો કોઈ જવાબ મળતો નથી.