
રાજકોટમાં તસ્કરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. તસ્કરો દુકાન ઘર પર હાથફેરો કરે છે પરંતુ આ વખતે તો માતાજીના મંદિરને પણ ન મૂક્યું. રાજકોટના રામનાથ પરામાં આવેલ માતાજીના મંદિરમાં તસ્કરોએ ૪૭ હજારના મદ્દામાલની ચોરી કરી. લુખ્ખા ચોરો મંદિરમાંથી ઘીની બરણી અને તેલના ડબ્બા પણ ઉઠાવી ગયા જ્યારે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી એકમાં આવેલા બંધ મકાનમાંથી તસ્કરો રૂપિયા ૪૪ હજારની માતા ઉઠાવી ગયા હોવાની ફરિયાદ યુનિવર્સિટી પોલીસમાં થતા સ્ટાફે ગુનો નોંધી તપાસ કરી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ ગઈ તા.૭ અને ૮ની રાત દરમિયાન રામનાથ પરા વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરમાં તસ્કર મંદિરનો દરવાજો ખોલી દાનપેટીમાંથી રૂા.૩૫ હજાર રોકડા, મંદિરની મૂર્તિ આગળ રહેલા પિત્તળના ચાર દિવેલીયા, ચાર ચાંદીના છતર, ઘીથી ભરેલી સ્ટીલની બરણી અને પાંચ લીટર તેલના બે કેન, ચોરી કરી ગયા હતા. જે અંગે કરણભાઈ રતીભાઈ ગમારાએ ગઈકાલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં તેના આધારે

પોલીસે વધુ તપાસ હાથધરી છે. જ્યારે બીજા બનાવમાં ૧૫૦ ફુટ રિંગ રોડ પર સોમનાથ-૧ શેરી નં.૩માં રહેતા હિનાબેન પદ્મકુમાર રાજ્યગુરુના મકાનમાંથી તસ્કરો રૂા.૪૪ હજારની મતા ચોરી ગયાની ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં હિનાબેને જણાવ્યું છે કેતેના પતિ નિવૃત્ત જીવન વિતાવેછે. બગસરા રહેતા સાસુની તબીયત સારી ન હોવાથી પતિ છેલ્લા ત્રણેક માસથી બગસરા રહે છે. જ્યારે તે ગત તા.૨૪ ઓગસ્ટથી રંગપુર ખાતેના વિપશ્યના કેન્દ્ર ખાતે રહે છે.ગઈ તા.૯ના રોજ ઘરે આવીને જોતા તાળુ ગાયબ હતું. મકાનના સેફ્ટી ડોર અને મેઈન ડોર ખુલ્લા હતા. પાડોશીઓને બોલાવી પુછતા કહ્યું કે ગઈ તા.૮ સુધી મકાન બંધ હતું. અંદર તપાસ કરતા સામાન વેરવિખેર મળ્યો હતો. ઉપરના માળે આવેલા બેડરૂમમાં સ્થિત કબાટમાં જોતા રોકડા રૂા.૪૦ હજાર ઉપરાંત રૂા.૪ હજારની કિંમતની ચાંદીની ઝાંઝરી ગાયબ હતા. જેથી તેને પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.