એશિયા કપ 2022માં ભારતે પોતાના અભિયાનનો પ્રારંભ પાકિસ્તાન વિરૂદ્દ રોમાંચક જીત સાથે કર્યો હતો. પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા પોતાની આગામી મેચ હોંગકોંગ વિરૂદ્દ 31 ઓગસ્ટ બુધવારે રમશે. આ મેચને જીતીને ભારત સુપર 4માં પોતાની જગ્યા પાક્કી કરશે. હોંગકોંગ વિરૂદ્ધ ટીમ ઇન્ડિયા જીત મેળવતા જ રોહિત શર્મા વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખશે. આ રેકોર્ડ છે ટી-20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવવાનો છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે અત્યાર સુધી 36 મેચ રમી છે જેમાં માત્ર 6 વખત જ ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. બીજી વખત 30 વખત ભારતે મેચ જીતી છે. વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે ભારતને 50માંથી 30 મેચ જીતાડી છે. જો રોહિત શર્મા કાલે જીત મેળવવામાં સફળ રહે છે તો તે ટી-20 ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની જશે.
કેપ્ટન તરીકે ભારતને સૌથી વધુ મેચ જીતાડવાનો રેકોર્ડ મહેન્દ્રસિંહ ધોનીના નામે છે. આ પૂર્વ કેપ્ટનની આગેવાનીમાં ભારતે 72માંથી 41 મેચ જીતી છે.

ટી-20 ક્રિકેટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન
મહેન્દ્રસિંહ ધોની- 41 જીત
વિરાટ કોહલી- 30 જીત
રોહિત શર્મા- 30 જીત
પાકિસ્તાન પર પ્રથમ મુકાબલામાં જીત મેળવ્યા બાદ રોહિત શર્મા પ્લેઇંગ ઇલેવનમાં મુશ્કેલ જ બદલાવ કરશે. ટોપ ઓર્ડર ફેલ થવા છતા રોહિત શર્મા કેએલ રાહુલ અને વિરાટ કોહલીને વધુમાં વધુ તક આપવા માંગશે જેથી તે પોતાની લય મેળવી શકે. પાકિસ્તાન વિરૂદ્દ રોહિત શર્માએ રિષભ પંત ઉપર દિનેશ કાર્તિકને રમાડ્યો હતો. હોંગકોંગ વિરૂદ્ધ પણ રિષભ પંતનું રમવુ મુશ્કેલ લાગી રહ્યુ છે.

પાકિસ્તાન સામે ભારતનો 5 વિકેટે વિજય
એશિયા કપ 2022માં ભારતે પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 35-35 રનની ઇનિંગ રમી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ અણનમ 33 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ સિવાય 3 વિકેટ પણ ઝડપી હતી. પાકિસ્તાને આપેલા 148 રનના પડકારનો પીછો કરતા ભારતે 2 બોલ બાકી રહેતા મેચને જીતી લીધી હતી.