
આદિપુરમાં પાઉંભાજીના નામે ₹2.30 લાખની સાયબર છેતરપિંડી

આદિપુરમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પાઉંભાજીની દુકાનના માલિક તરીકે ઓળખ આપી અજાણ્યા શખ્સે મની ટ્રાન્સફરના બહાને વેપારી પાસેથી ₹2,29,994 અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આદિપુર નગરપાલિકા કોમ્પ્લેક્સમાં મોબાઈલ અને મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને પાઉંભાજીનો માલિક હોવાનું જણાવી આશરે ₹2.30 લાખનું મની ટ્રાન્સફર કરાવવાની વાત કરી હતી.
આ પણ જુવો : ગાંધીધામમાં પ્રેમસંબંધનો કરુણ અંજામ, 24 વર્ષીય યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો!
વેપારીએ દુકાને આવવા જણાવ્યું બાદ એક યુવક ત્યાં પહોંચ્યો હતો અને તેના ફોન મારફતે ઠગ સાથે વેપારીની વાત કરાવવામાં આવી હતી. ત્યારબાદ ઠગની વાતમાં આવી વેપારીએ જુદા-જુદા ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ₹2,29,994ની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
બાદમાં સમગ્ર મામલો શંકાસ્પદ લાગતા તપાસ કરતાં યુવકને માત્ર પાઉંભાજી અને પુલાવના ઓર્ડરની ચુકવણી લેવા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. યુવકના પરિવારજનોએ પણ કોઈ મની ટ્રાન્સફર કરાવ્યું ન હોવાનું સ્પષ્ટ કરતાં વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય વિગતોના આધારે ઠગ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.
