
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 12 બાળકના મોત, 7 સારવાર હેઠળ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 બાળકોના મોત નોંધાયા છે, જેમાં 3 બાળકોના ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 9 બાળકોના મોત શંકાસ્પદ લક્ષણો સાથે થયા છે. હાલ 2 પોઝિટિવ સહિત કુલ 7 બાળકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

રાજ્યમાંથી અત્યાર સુધીમાં 27 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 19 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે. તેમાં 7 સેમ્પલ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ આવેલા 7 બાળકોમાંથી 3ના મોત થયા છે, જ્યારે 4 બાળકો સારવાર હેઠળ છે. બાકીના 8 સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખેડા જિલ્લાના 1 વર્ષના બાળક અને સાબરકાંઠાના 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને બંનેની સઘન સારવાર ચાલી રહી છે. અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો સારવાર હેઠળ છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ એલર્ટ પર છે અને આગામી પગલાં માટે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે.