રાપર શહેરમાં નાગરિકોની બેદરકારી ને કારણે વારંવાર લાઈન ચોક થાય છે, ગટર લાઈનમાંથી ગોદડાં અને કોથરા નીકળ્યા

રાપર શહેરમાં 2001ના ભૂકંપ બાદ 2003ની આસપાસ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગટર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પરંતુ એક રાજકીય આગેવાનના કોન્ટ્રાક્ટ હેઠળ અધિકારીઓએ નિયમ મુજબ પાંચની સાઈઝના પાઈપને બદલે અઢીની સાઈઝના રિજેક્ટ પાઈપ નાખ્યા હતા.
આ ગટર વ્યવસ્થાનું સંચાલન હવે રાપર નગરપાલિકાને સોંપવામાં આવ્યું છે. નાની સાઈઝના પાઈપ અને ગટરની ટાંકીઓને કારણે જામ થવાના બનાવો રોજિંદા બની ગયા છે. તકલાદી પાઈપ તૂટી જાય ત્યારે નગરપાલિકા દ્વારા નવા પાઈપ નાખવામાં આવે છે.
કેટલાક લોકો કચરો ઉકરડામાં કે નગરપાલિકાની કચરા ગાડીમાં નાખવાની આળસમાં ગટરમાં વહેતો કરી દે છે. આના કારણે મુખ્ય લાઈન કે ટાંકીમાં પ્લાસ્ટિકના ઝબલા, તૂટેલા વાસણો તથા ગાભા ફસાઈ જાય છે અને ગટર ઉભરાઈ જાય છે.
તાજેતરમાં પાઘર દેવી મંદિર નજીક એક ગલીમાં ગટર લાઈનની સફાઈ દરમિયાન ટાંકીમાંથી સો કિલો અનાજ ભરાય તેવા કોથરા તથા ગોદડાં નીકળ્યા હતા. સફાઈ કામદારે મહામહેનતે આ ગલીની ગટર લાઈન સાફ કરી હતી.
આ અંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોએ ગટરમાં કચરો, પ્લાસ્ટિકના ગ્લાસ, ઝબલા, ગાભા, કોથરા, થેલી નાખવાની જગ્યાએ નગરપાલિકાની કચરો લેવા માટે આવતી ગાડીમાં નાખવા અનુરોધ કર્યો હતો.

તેમણે ચેતવણી આપી હતી કે, આવી પ્રવૃત્તિ અંગે માહિતી પ્રાપ્ત થશે તો નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. થોડી આળસના લીધે શહેરમાં ગટર લાઈન ઉભરાય છે, એટલા માટે લોકોને ગટર લાઈનમાં પાણી સિવાય કોઈ વસ્તુ ના નાખવા અનુરોધ કર્યો છે.