DGCA ઓડિટમાં એર ઇન્ડિયા એરલાઇન સંબંધિત 100 ખામીઓ મળી, 7 ખૂબ જ જોખમી

વિમાન સુરક્ષા પર દેખરેખ રાખતી સંસ્થા, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયામાં ઘણી મોટી ખામીઓ શોધી કાઢી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાં પાઇલટ્સ અને કેબિન ક્રૂની ટ્રેનિંગ, તેમના આરામ અને ડ્યુટીના નિયમો અને ટેક-ઓફ અને લેન્ડિંગ સંબંધિત ધોરણોમાં લગભગ 100 પ્રકારની ખામીઓનો સમાવેશ થાય છે. જોકે, રોઇટર્સ મુજબ, આ સંખ્યા 51 છે.

આમાંથી 7 ખામીઓ ‘લેવલ-1’ ની છે. આ સૌથી ગંભીર સુરક્ષા જોખમો છે અને એરલાઇન્સે તેને 30 જુલાઈ સુધીમાં સુધારવા પડશે. બાકીની 44 ખામીઓને 23 ઓગસ્ટ સુધીમાં સુધારવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, આ ખામીઓની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં આ ઓડિટ પરિણામોનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે તે નિર્ધારિત સમયની અંદર ડીજીસીએને પોતાનો જવાબ આપશે.
12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ફ્લાઇટ ટેકઓફ થયાના 32 સેકન્ડ પછી ક્રેશ થઈ ગઈ હતી. આમાં 270 લોકોનાં મોત થયાં હતાં.
DGCAએ 4 કારણદર્શક નોટિસ મોકલી છે
1 થી 4 જુલાઈ દરમિયાન ગુરુગ્રામમાં એર ઇન્ડિયાના મુખ્ય કેન્દ્ર પર એક મુખ્ય ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. આમાં ફ્લાઇટ ઓપરેશન્સ, શેડ્યુલિંગ, રોસ્ટરિંગ અને અન્ય ઘણા પાસાઓની તપાસ કરવામાં આવી હતી.
ડીજીસીએ એ 23 જુલાઈએ એરઈન્ડિયાને ચાર કારણ જણાવો નોટિસ મોકલી હતી. આમાં કેબિન ક્રુ ના આરામ અને ડ્યુટી નિયમો, ટ્રેનિંગ નિયમો અને ઓપરેશનલ પ્રોસીજરનું ઉલ્લંઘન બાબત હતી
આ પહેલા 24 જૂનના રોજ DGCAએ નું શેડ્યુલિંગ અને રોસ્ટરિંગની જવાબદારી સબંધીત ત્રણ અધિકારીઓને હટાવવવાના નિર્દેશ આપ્યા હતા. DGCAએ તેમની કામગીરીમાં ગંભીર બેદરકારી જાણવા મળી હતી.
માર્ચમાં ડીજીસીએ એ એર ઈન્ડિયા એક્સપ્રેસને ઠપકો આપ્યો હતો
યુરોપિયન યુનિયનની એવિએશન સેફ્ટી સિક્યુરિટી ઓથોરિટીના નિર્દેશો અનુસાર એરલાઇને એરબસ A320ના એન્જિન કમ્પોનેટ્સ સમયસર બદલ્યા ન હતા. ઉપરાંત, રેકોર્ડ માં પણ ચેડાં કરવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, ડીજીસીએ એ એરલાઇનને કહ્યું હતું કે- એરબસ A320ના એન્જિનના પાર્ટસમાં મોડિફિકેશન સમયસર કરવામાં આવ્યો ન હતો. કામ સમયસર પૂર્ણ થયું તે બતાવવા માટે AMOS રેકોર્ડમાં ચેડાં કરવામાં આવ્યા હતા. ખોટા કાગળો તૈયાર કરવામાં આવ્યા હતા.
રોઇટર્સના અહેવાલ મુજબ, એરલાઇને પોતાની ભૂલ સ્વીકારી અને એમ પણ કહ્યું કે તે પોતાની કાર્યશૈલીમાં સુધારો કરશે અને સાવચેતીના પગલાં લેશે. કંપનીએ કહ્યું હતું કે- અમારા મોનિટરિંગ સોફ્ટવેર પર રેકોર્ડ્સ માઈગ્રેશન થવાને કારણે અમારી ટેકનિકલ ટીમે ભાગો બદલવાની નિયત તારીખ ચૂકી ગઈ. સમસ્યાની જાણ થતાં જ તેને સુધારી લેવામાં આવી.

એરબસ A320 એક નેરો બોડી પ્લેન છે. તેનો ઉપયોગ મોટાભાગે ટૂંકા અંતરની ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં થાય છે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. AAIBએ આ મહિનાની શરૂઆતમાં 15 પાનાનો પ્રારંભિક અહેવાલ જાહેર કર્યો હતો.
બ્યુરોએ આ રિપોર્ટમાં જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ના બંને એન્જિનમાં ઇંધણનો પુરવઠો એક સેકન્ડના અંતરથી બંધ થઈ ગયો હતો. આનાથી કોકપીટમાં પાઇલટ્સમાં મૂંઝવણ સર્જાઈ ગઈ અને ટેકઓફ કર્યા પછી તરત જ વિમાન નીચે પડ્યું હતું.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ટેકઓફ થયાના થોડા જ સેકન્ડોમાં, એન્જિનના ફ્યુઅલ સ્વીચ ‘રન’ થી ‘કટઓફ’ થઈ ગયા. કોકપીટ વોઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ બીજાને પૂછતો સંભળાય છે, “તમે તેને કેમ બંધ કર્યું?” બીજા પાઇલટે જવાબ આપ્યો, “મેં નથી કર્યું.”

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા દેશભરના એરપોર્ટના નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે મુંબઈ અને દિલ્હી સહિત ઘણા મોટા એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ખામીઓ છે. DGCA એ 24 જૂને રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે એક એરપોર્ટ પર રનવે પર લાઇન માર્કિંગ ઝાંખું હતું.