
PM મોદીના વતનમાં વડનગર માં CMએ 1400 ગ્રામ સોનાથી બનેલા શિખરનું લોકાર્પણ કર્યું,
વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું આજે (24 માર્ચ 2025)ના રોજ CM મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર, દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરવામાં આવ્યું છે. આ સાથે સીએમએ યજ્ઞશાળા અને લાઇટ-સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું.
રૂ. 5.5 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો
રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્યમંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે રૂ. 5.5 કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે.