
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજધર્મ પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યમાં જે કરી રહ્યા છે તે ધર્મ નથી, અધર્મ છે. ભારત જોડો અભિયાનના એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું છે કે યોગી આદિત્યનાથ કોઈ ધાર્મિક નેતા નથી.
અહેવાલો અનુસાર, રાહુલ ગાંધીએ આ કાર્યક્રમમાં કહ્યું, ‘યોગીને જો હિંદુ ધર્મ સમજ આવ્યો હોત તો તેઓ જે કરે છે તે ન કરતા. તેઓ પોતાના મઠનું અપમાન કરી રહ્યા છે. તે કોઈ ધાર્મિક નેતા નથી, પરંતુ એક મામૂલી ઠગ છે.’
‘યુપીમાં અધર્મ થઈ રહ્યો છે’
કાર્યક્રમમાં હાજર એક મહિલાએ તેમને પૂછ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં જે ધર્મની હવા ચાલી રહી છે, એ સ્થિતિમાં કોંગ્રેસ શું કરશે? આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘તમે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ધર્મની હવા છે. આ ધર્મ નથી. મેં ઇસ્લામ વિશે વાંચ્યું, ખ્રિસ્તી ધર્મ વિશે વાંચ્યું, યહુદી ધર્મ વિશે વાંચ્યું છે, બૌદ્ધ ધર્મ વિશે વાંચ્યું છે. હિંદુ ધર્મ તો હું સમજું છું. કોઈ ધર્મ નથી કહેતો કે નફરત ફેલાવો.’
રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ યુપીમાં જે કરી રહ્યું છે તે ધર્મ નથી, અધર્મ છે. તેમણે કહ્યું કે જેવું વ્યક્તિ તપસ્યા કરવાનું બંધ કરે છે, તેના માટે ભ્રમની સ્થિતિ ઊભી થાય છે.
‘કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી’
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી છે, જ્યારે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેનાથી વિરુદ્ધ છે. ‘ભારત જોડો યાત્રા’નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ એક નાનું અને પ્રથમ પગલું છે. ભવિષ્યમાં પણ આવા પ્રયાસો ચાલુ રહેશે.