
કારખાના માલિક સહિત ત્રણની હત્યા
અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઈન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મૂકતા કારખાના માલિક સહિત ત્રણની હત્યા કરી બે કારીગરો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઘટના બાદ કારખાના માલિકના પરિવારજનો દ્વારા આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માગ કરી હતી. હત્યાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
કારખાના માલિક, તેના પિતા અને મામાની હત્યા
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું કારખાનું આવેલું છે. જેમાં આજે મારામારીની ઘટના સર્જાઈ હતી. કારખાનાના માલિક પર બે કારીગરોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં કારખાના માલિક કલ્પેશ ધોળકીયા, તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ ત્રણે જણાના મોત થયા હતા. ઘટના બાદ ત્રણેયને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કારીગરની ભૂલથી માલ ખરાબ થતા નોકરીમાંથી કાઢી મૂક્યો હતો
પિનાકીન પરમાર (ડીસીપી-સુરત પોલીસ )એ જણાવ્યું હતું કે, ગઈકાલે એક કારીગરે ભૂલ કરતા માલ ખરાબ થયો હતો. જેને લઈને માલિકે રૂપિયા આપી નોકરી પરથી કાઢી મૂક્યો હતો. આજે સવારે કારખાના પર આવી હુમલો કર્યો હતો. જેમાં કલ્પેશ ધોળકીયા, તેના પિતા ધનજીભાઈ ધોળકીયા અને માતા ઘનશ્યામભાઈ રઝોડિયાનું મોત થયું છે. મૃતદેહ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરત પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ટીમો કાર્યરત કરી હતી.
પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો
સુરતમાં એક સાથે ત્રણ-ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. હત્યારાઓએ હત્યાને અંજામ આપીને જોતજોતામાં જ ફરાર થઈ ગયા હતા. ત્યારે પરિવારજનોએ હત્યારાને ઝડપી પકડવા માગ કરી હતી. એટલું જ નહીં, જ્યાં સુધી હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી પણ આપી હતી.
નોકરીમાંથી કાઢી મૂકતા હત્યા કરી
વેદાંત ટેક્સોના માલિક કલ્પેશ ધોળકીયા દ્વારા આજે તેમના જે કારીગરો છે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેને લઈને છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. જેમાં કલ્પેશ પર કારીગરોએ જ હુમલો કરી દીધો હતો. જેમાં કલ્પેશને બચાવવા તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈ આવ્યા હતા. તેમને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. કલ્પેશ સહિત ત્રણેયની હત્યા કરી કારીગરો ફરાર થઈ ગયા હતા.