એક વાર ફરી Pm modi દિવાળીમાં જવાનો સાથે

એક વાર ફરી Pm modi દિવાળીમાં જવાનો સાથે

કારગિલમાં મોદીએ કહ્યું- અમારી આતશબાજી કરતા તમારી આતશબાજી અલગ હોય છે, અને ધડાકા પણ અલગ

સતત 9મા વર્ષે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી

વડાપ્રધાન મોદી કારગિલ પહોંચી ગયા છે. અહીં તેઓ જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઊજવી રહ્યા છે. કારગિલમાં સંબોધન કરતા મોદીએ કહ્યું કે સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવનાનું સારું લાગે છે. મોદીએ કહ્યું કે, સિવિલિયન લોકોની દિવાળી… અમારી આતશબાજી અલગ હોય છે. તમારી આતશબાજી પણ અલગ અને ધડાકા પણ અલગ હોય છે.

તમે બધા મારા પરિવાર છો, તમારી વચ્ચે આવવાથી દિવાળીની મીઠાશ વધે છે
પીએમ મોદીએ જવાનોને કહ્યું કે મારા માટે વર્ષોથી મારો પરિવાર તમે બધા છો. તમારી વચ્ચે આવવાથી મારી દિવાળીની મીઠાશમાં વધારો થાય છે, મારી દિવાળીનો પ્રકાશ તમારી વચ્ચે છે અને આગામી દિવાળી સુધી મારી સ્થિતિને પ્રકાશિત કરે છે. બહાદુરીની અનોખી ગાથાઓ સાથે આપણી પરંપરા, મધુરતા અને મીઠાશ પણ મહત્વની છે. તેથી જ ભારત તેના તહેવારો પ્રેમથી ઉજવે છે. સમગ્ર વિશ્વને તેમાં સામેલ કરીને ઉજવણી કરે છે.

દિવાળીનો અર્થ – આતંકના અંતનો ઉત્સવ
સેનાના જવાનોને દિવાળીનો અર્થ સમજાવતા પીએમએ કહ્યું કે વાસ્તવમાં દિવાળીનો સાર એ છે કે આતંકનો અંત થાય અને પછી તેનો ઉત્સવ મનાવવામાં આવે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ સેનાએ આ જ રીતે આતંકને કચડી નાખ્યો હતો. એક દિવ્ય જીત મેળવી હતી. દેશમાં તે જીતની એવી દિવાળી મનાવવામાં આવી હતી કે લોકો આજે પણ તેને યાદ કરે છે.
મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય હતું કે હું એ વિજયનો સાક્ષી બન્યો હતો અને મેં એ યુદ્ધને નજીકથી જોયું હતું. હું અહીંના અધિકારીઓનો આભારી છું કે તેઓએ મને 23 વર્ષ જૂની તસવીરો બતાવીને મને તે ક્ષણ યાદ અપાવી. દેશના એક સામાન્ય નાગરિક તરીકેની મારી ફરજ મને યુદ્ધના મેદાન સુધી લઈ આવી હતી. અમે જે પણ મદદ કરી શકતા હતા, તે કરવા માટે અહીં આવ્યા હતા. અમે માત્ર પુણ્ય કમાવવા આવ્યા હતા.

વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે, ત્યારથી તેઓ હંમેશાં સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઊજવતા રહ્યા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પોતાની પરંપરા અકબંધ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ પહોંચ્યા છે. આમ, વડાપ્રધાન સતત 9મા વર્ષે દિવાળીની ઉજવણી સેનાના જવાનો સાથે કરશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને દિવાળીની શુભકામના પાઠવી
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળી તેજ અને પ્રકાશનું પર્વ છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં ખુશીઓ લઈને આવે અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારે. હું આશા રાખું છું કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે એક શાનદાર દિવાળી પર્વ મનાવશો.

વડાપ્રધાન બન્યા બાદ મોદી સતત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ પહેલાં તેમણે સરહદના વિવિધ વિસ્તારોમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

23 ઓક્ટોબર 2014: મે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. આ પછી, 23 ઓક્ટોબર 2014ના રોજ, તેમણે PM તરીકે સિયાચીનમાં પ્રથમ દિવાળી ઊજવી હતી.

11 નવેમ્બર, 2015: પીએમ મોદીએ પંજાબમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. અહીં તેઓ 1965ના યુદ્ધના વોર મેમોરિયલની મુલાકાતે પણ આવ્યા હતા.

30 ઓક્ટોબર 2016: PM મોદી દિવાળીની ઉજવણી કરવા 2016માં હિમાચલના કિન્નૌર પહોંચ્યા હતા. અહીં તેમણે ભારત-ચીન બોર્ડર પાસે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

18 ઓક્ટોબર 2017: 2017માં પણ પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારબાદ તે જમ્મુ-કાશ્મીરના ગુરેઝ પહોંચ્યા હતા.

7 નવેમ્બર 2018: 2018માં પીએમ મોદીએ ઉત્તરાખંડના હર્ષિલમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

27 ઓક્ટોબર 2019: PM મોદીએ 2019માં LoC પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પીએમ મોદી એલઓસી પર તહેનાત જવાનોને મળવા રાજૌરી પહોંચ્યા હતા.

14 નવેમ્બર 2020: પીએમ મોદીએ જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

4 નવેમ્બર, 2021: વર્ષ 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

આ પહેલાં પણ પીએમ મોદી દિવાળીના તહેવાર પર સતત અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે. 21મી ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથનાં દર્શન કરવા આવ્યા હતા. આ પછી, તેઓ 23 ઓક્ટોબરે અયોધ્યાના દીપોત્સવમાં સામેલ થયા હતા. આ સાથે અયોધ્યા પહોંચ્યા બાદ તેમણે રામલલાનાં દર્શન કર્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *