મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકાર આપશે 75,000 સરકારી નોકરી, PM મોદીની ફોર્મ્યુલા અપનાવશે

દેશમાં વિપક્ષ બેરોજગારીના મુદ્દે મોદી સરકારને સતત ઘેરી રહ્યો છે, જેના કારણે ભાજપના રાજ્ય એકમોને પણ ચૂંટણીના દ્રષ્ટિકોણથી નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી હવે મહારાષ્ટ્ર સરકારે પણ રાજ્યમાં 75000 સરકારી નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ નોકરીઓ એક વર્ષની અંદર આપવામાં આવશે.

રાજ્યમાં રોજગાર સર્જન ફોર્મ્યુલા અંગે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ સાથે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની અમારી સરકારે પણ નોકરીઓ આપવાનું નક્કી કર્યું છે. 75,000 નોકરીઓમાંથી 18,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં હશે. આગામી 5 થી 7 દિવસમાં આ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.”

આ મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુવાનોને 10 લાખ નોકરીઓ આપવાની પહેલ ઉત્તમ છે. જૂનમાં, વડા પ્રધાને વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં મિશન મોડ પર 10 લાખ લોકોને નોકરી આપવાનું કહ્યું હતું. ત્યારથી, ભાજપ શાસિત સરકારો અને કેન્દ્ર સરકારના વિભાગો સતત સરકારી નોકરીઓ માટે ભરતીઓ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, મોદી સરકારે 22 ઓક્ટોબરે રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરીને 75,000થી વધુ યુવાનોને સરકારી નોકરીના જોઇનિંગ લેટર આપ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે કેન્દ્ર યુવાનો માટે વધુને વધુ રોજગારની તકો ઊભી કરવા માટે ઘણા મોરચે કામ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *