વડોદરાના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં 2 તસ્કર બંધ ઘરમાં ઘૂસ્યા ને પરિવાર આવી ગયો, હાજર લોકોએ મેથીપાક ચખાડ્યો હતો

2 તસ્કર બંધ ઘરમાં ઘૂસ્યા : વડોદરાના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં શામળ બેચરની પોળમાં 4 ઓગસ્ટ સોમવારની મોડી રાત્રે પરિવાર સામાજિક પ્રસંગે ગયો હતો. આ સમયે મોકાનો ફાયદો લઈને બે તસ્કર જાળી અને બારણું તોડી ઘરમાં ઘૂસ્યા હતા. તસ્કરો ઘરમાં ચોરી કરી રહ્યા હતા, તે સમયે જ પરિવાર પરત ઘરે આવી ગયો હતો.

2 તસ્કર બંધ ઘરમાં ઘૂસ્યા : ઘરનો વેરવિખેર સામાન જોઈને પરિવારના સભ્યોને તપાસ ઘરમાં બે શખસો ચોરી કરી રહ્યાં હતાં. આ સમયે ચોરને પકડવા જતાં હાથમાં રહેલી હથોડીથી હુમલાના પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં બૂમાબુમ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં. ઘટનાની જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી.

સિટી પોલીસની ટીમ જ્યારે તસ્કરોને ઘરમાંથી બહાર કાઢ્યા ત્યારે હાજર લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જોકે, પોલીસે ચોરને ન મારવા માટે લોકોને સમજાવ્યા હતા. આ સમયે ઘરમાં બાળકો ગભરાઈને રડવા લાગ્યા હતા. સિટી પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

2 તસ્કર બંધ ઘરમાં ઘૂસ્યા : વડોદરાની શામળ બેચરની પોળમાં રહેતા આકાશભાઈ બાબુરાવ ધાડગેએ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સોના-ચાંદીના દાગીનાનું હોલમાર્કિંગનું કામ કરૂ છું. અમે સોમવારે મારા ભાણેજનો નામકરણનો પ્રોગ્રામ પતાવીને પરત રાત્રિના 10.30 વાગ્યાની આસપાસ ઘરે આવ્યા હતાં. ઘરે આવતા જોયુ કે, ઘરના મુખ્ય દરવાજાને મારેલ તાળું તૂટેલી હાલતમાં પડેલ હતું અને દરવાજાનો નકુચો પણ તૂટેલો હતો.
ઘરમાં જોતા ઘરનો સામાન વેર-વીખેર હાલત હતો અને મંદિરનો સામાન પણ વેરવીખે૨ હાલત પડેલો હતો. ત્યારબાદ અમો ઘરના પહેલા માળે તપાસ કરતા અમારી તીજોરીનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. સાથે ઘરના બીજા અને ત્રીજા માળે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો.
અમે ઘરમાં વધુ તપાસ કરવા જતા એક ઇસમ અમારા ઘરમાં ચોરી કરતો હતો, જેથી ચોરને અમે રોકવા જતા તેના હાથમાં રહેલ એક હથોડી વડે અમને મારવા આવતો હતો, જેથી અમે ઘરની બહાર ભાગી ગયા હતા.
2 તસ્કર બંધ ઘરમાં ઘૂસ્યા : ચોર અમારા ઘરમાં ચોરી કરેલો સામાન તેના હાથમાં લઈને ઘરની આગાસી ઉપર ભાગી ગયો હતો, જેથી અમે બુમાબુમ કરતા અમારો અવાજ સાંભળીને આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા. બાદમાં અમે આ બાબતે 100 નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવી હતી. જેથી પોલીસના માણસો આવી જતા બે અજાણ્યા ચોરને અમારા ઘરમાંથી પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
ત્યારબાદ અમે અમારા ઘરમાં મંદિરમાં ચેક કરતા મંદિરમાં રાખેલ ચાંદીની ત્રણ નાની મુર્તિઓ ચોરી થઈ હોવાનુ જાણવા મળ્યું છે. ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હોવાથી ઘરમાંથી અન્ય કોઈ સામાનની ચોરી થઈ છે કે કેમ તેની તપાસ કરી જણાવીશું.
આ મામલે સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ચૌહાણે જણાવ્યું હતું કે, બે ચોર પાસેથી ચાંદીની 3 મૂર્તિ જપ્ત કરવામાં આવી છે અને બંનેની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ચોરી થયેલો મુદ્દામાલ
- એક ચાંદીની લક્ષ્મિનારાયણ ભગવાનની મૂર્તિ (આશરે 70 ગ્રામ, કિં.રૂ.8000)
- એક ચાંદીની દત્તાત્રેય ભગવાનની મુર્તિ (આશરે 50-55 ગ્રામ, કિં. રૂ.5000)
- એક ચાંદીની એક ગાયની નાની મૂર્તિ (આશરે 10-12 ગ્રામ, કિં. રૂ. 1500)
2 તસ્કર બંધ ઘરમાં ઘૂસ્યા : શામળ બેચરની પોળમાં રહેતા કલ્પનાબેન જાનીએ જણાવ્યું હતું કે, મારી બેનના છોકરાનું નામકરણ હતું, જેથી અમે ફંક્શનમાં ગયા હતા. આ સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. મારા પતિ પાદરામાં શોપ ચલાવે છે તો તેઓ પણ ત્યાં હતા. અમે ફંકશન પૂરું કરીને ઘરે આવ્યા હતા, તો જોયું તો જાળી તૂટેલી હતી અને બારણું તૂટેલુ હતું. અમારા ભગવાનની ચાંદીની મૂર્તિ હતી, સાડા પાંચ લાખ રૂપિયા રોકડ હતી અને સોનાના દાગીના પણ હતા, એ નથી મળ્યા.
મારા દાગીના ચેક કરવાના બાકી છે. અમે ઘરમાં જોયું તો ચોર ઉપરના રૂમમાં બેઠા હતા. સૌથી પહેલા મારા જીજાજીએ ચોરને જોયા હતાં. તેઓ અગાસીમાંથી બહારની સાઇડથી બંધ કરીને બેઠા હતા.
વડોદરા શહેરમાં રાત્રિના સમયે ચોરીઓની ઘટના સતત થતી હોય છે અને તસ્કરો બેફામ બનીને પોલીસને પડકાર આપતા હોય છે. ત્યારે આ પ્રકારની ચોરીઓને અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માંગ લોકો કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની ચોરીઓની ઘટનાઓને અટકાવી શકાય.