
અમદાવાદ મનપાનો મહત્ત્વનો નિર્ણયઃ હોળી-ધૂળેટીએ રિવરફ્રન્ટ ગાર્ડન અને ધુળેટીએ અટલ બ્રિજ સાંજ સુધી બંધ
દેશભરમાં આજે હોળીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે અને આવતીકાલે ધુળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવી ઉત્સવની ઉજવણી કરશે. એવામાં હોળી અને ધૂળેટીને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રિવરફ્રન્ટ ગાર્ડન અને અટલ ફૂટ ઓવરબ્રિજ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હોળી અને ધુળેટીના દિવસે લોકો રંગોથી ઉજવણી કરતા હોય છે. જેમાં અમુક રંગો કેમિકલવાળા હોવાના કારણે વૃક્ષોને નુકસાન થઈ શકે છે. તેથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હોળી અને ધૂળેટીના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી રિવરફ્રન્ટ ગાર્ડન બંધ રહેશે અને ધૂળેટીના દિવસે અટલ ફૂટ ઓવર બ્રિજ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે. જેથી રંગોના કારણે ગાર્ડન ખરાબ ન થાય અને સફાઈ કર્મચારીઓ પણ હોળી અને ધૂળેટીની મજા માણી શકે.
હોલિકા દહનનું શુભ મૂહુર્ત
આજે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની 13 માર્ચ (ગુરુવારે) હોળીનો પર્વ ઉજવવવામાં આવી રહ્યો છે. ત્યારે હોલિકા દહનનું શુભ મૂહુર્ત 13 માર્ચ બપોરે 11:26થી 12:30 સુધીનું રહેશે. હોલિકા દહનનો કુલ સમય 1 કલાક 4 મિનિટનો રહેશે.