
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની સીઝન ભારતમાં રમાશે, જેની જાહેરાત બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી હતી. પણ હાલ મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. PTI ના જણાવ્યા પ્રમાણે, આઇપીએલ 2021ની સrઝનની પ્લે ઓફ અને ફાઇનલ મેચ અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ શકે છે.
તો આઇપીએલ 2021ની લીગ કક્ષાની મેચ દેશનાં ત્રણ શહેરોમાં રમાડવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ શહેરમાં હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતા પ્રમુખ સ્થાને ચાલી રહ્યા છે. જોકે મુંબઇમાં પણ મેચનું આયોજન માટે વિચારણા છે, પરંતુ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઇમાં મેચ રમાડવી કે નહીં એનો નિર્ણય હાલ લેવાયો નથી.
આઇપીએલની મેચ અમદાવાદમાં થવા માટેનું સૌથી મોટું કારણ આ સ્ટેડિયમની સૌથી વધુ બેઠક ક્ષમતા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ બેઠક ક્ષમતા 1.32 લાખની છે. જો કોરોનાની હાલની ગાઇડલાઇનને પણ ધ્યાનમાં લેવામાં આવે તો 50% બેઠક ક્ષમતા પ્રમાણે 66,000 દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. તો આ સ્ટેડિયમમાં કુલ 11 પિચ છે જેથી પણ ટીમ માટે અનુકૂળ રહેશે.