શેરીઓમાં રહેતા બાળકોને શિક્ષણ, આરોગ્યની સાથે પરિવારોના ઉત્થાન માટે ભાવનગર જિલ્લા વહિવટી તંત્રનો નવતર પ્રયોગ

શેરીઓમાં રહેતા બાળકોને શિક્ષણ, આરોગ્યની સાથે પરિવારોના ઉત્થાન માટે ભાવનગર જિલ્લા વહિવટી તંત્રનો નવતર પ્રયોગ શેરીની પરિસ્થિતિમાં રહેતા કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને સિક્ષણ,

આરોગ્ય અને પ્રવર્તમાન જીવન નિર્વાહમાં જોડવાનો એક સંવેદનશીલ પ્રયાસના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખ, સમાજ સુરક્ષા અને બાલ સુરક્ષા એકમના સયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ, આરોગ્ય તપાસ, અને આઈ. સી. ડી. એસ. અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટર ડી. કે. પારેખે જણાવ્યું હતું કે, કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર કે બાળક સરકારની લોક કલ્યાણની યોજનાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા વિવિધ ઝુંબેશો ચલાવવામાં આવે છે, વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. વંચિત અને જરૂરિયાતમંદ પરિવારોની સાથે સાથે શેરીઓમાં રહેતા બાળકો કે તેમના પરિવારો પણ સરકારની યોજનાઓનો લાભ મેળવી સામાન્ય પ્રવાહમાં આવી શકે તે માટે એક ઉમદા અભિગમ પણ સરકાર દ્વારા કેળવવામાં આવ્યો છે. જે થકી શેરીઓમાં રહેતા બાળકોની નોંધણી અને સર્વે કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશ્નર એન.વી. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, વંચિતોનો વિકાસ એ સરકારની નેમ છે જે ખરા અર્થમાં ચરિતાર્થ થયેલ છે. બાળકો અને તેમના પરિવારોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સાંકળી લેવા આ અભિગમનો સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તેવો ઉમદા હેતુ છે. ઉપરાંત આ બાળકોમાંથી જેમણે શાળા પ્રવેશ કર્યો નથી અથવા શાળાએ જવાનું છોડી દીધુ હોય તેવા બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા પણ તેમણે જણાવ્યું હતું. સરકારશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા અભિગમ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શેરીમાં રહેતા બાળકો કે જેમની પાસે આધાર કાર્ડ નથી, સ્લમ વિસ્તારમાં રહે છે, તેમની તથા તેમના બાળકોની ઓળખ કરીને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા તૈયાર કરેલ બાળ સ્વરાજ પોર્ટલમાં CISS ( Child In Street Situation- શેરીમાં રહેતા બાળકો) નોંધણી કરવામાં આવી હતી. આ સર્વે અંતર્ગત બાળ સ્વરાજ પોર્ટલ પર નવેમ્બર-૨૦૨૧ માં કુલ ૧૦૦ બાળકોની સર્વે કરવામાં આવ્યો હતો અને તેમનું વેરિફિકેશન કરીને ૮૭ બાળકોને રૂ. ૨૦૦૦ સહાય ચૂકવવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગતની ચાઈલ્ડ વેલેફેર કમિટી દ્વારા આવા બાળકોના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગના સંકલનમાં રહીને આ કાર્યક્રમમાં ૨૫ નવા આધારકાર્ડ, ૨૪ બાળકોની આંગણવાડીમાં નોંધણી, ૪૨ બાળકોને એસ. ટી. પી. (સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ) અંતર્ગત નોંધણી કરવામાં આવી તથા કુલ ૧૪ બાળકોને અન્નબ્રમ્હ યોજનાની કીટ તેમજ એક મહિલાને માતૃવંદના ની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિટી મામલતદાર દશરથસિંહ, પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઇ, સમાજ સુરક્ષા અધિકારી એમ. આર. જાંબુચા, જિલ્લા બાળસુરક્ષા અધિકારી એન. બી. ચૌહાણ, સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *