
અમદાવાદની હોટલમાં યુવક-યુવતીના મૃતદેહ મળતા ચકચાર, પ્રેમપ્રકરણની દિશામાં તપાસ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી યુવક અને યુવતીના ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બંને સંતરામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
માહિતી મુજબ, હોટલના સ્ટાફે લાંબા સમય સુધી રૂમનો દરવાજો ન ખુલતા મેનેજરને જાણ કરી હતી. ત્યારબાદ દરવાજો ખોલતા અંદર યુવક અને યુવતી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસ તપાસમાં મૃતકોની ઓળખ જયદીપ પટેલીયા અને નીતા ડામોર તરીકે થઈ છે. યુવતી અમદાવાદમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી.

પ્રાથમિક તપાસના આધારે પ્રેમસંબંધને લઈને બંનેએ આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી કરશે.