
અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ, 2029 સુધી 20% હરિયાળી વધારવાનો સંકલ્પ
અમદાવાદમાં ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અંતર્ગત બપોરે 1 વાગ્યા સુધીમાં 1.25 કરોડથી વધુ વૃક્ષારોપણ; 80 BRTS અને 75 AMTS ઈલેક્ટ્રિક AC બસોની પણ શરૂઆત
અમદાવાદને હરિયાળું અને પ્રદૂષણમુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અભિયાન હેઠળ રવિવારે સાયન્સ સિટીમાં ભવ્ય સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

અમિત શાહે 101 ઓક્સિજન પાર્ક અને અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું તેમજ BRTS માટે 80 નવી AC ઈલેક્ટ્રિક બસો અને AMTS માટે 75 નવી AC બસોને લીલી ઝંડી આપી. આ સાથે જ BRTSનો સમગ્ર કાફલો હવે સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક બન્યો છે.

કાર્યક્રમ દરમિયાન સરકારી કર્મચારીઓ માટે રૂ. 60.68 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 188 આધુનિક સરકારી આવાસોનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. બાદમાં અમિત શાહે ભાડજ, બોપલ અને વાડજ સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ અભિયાનમાં ભાગ લીધો.
સંબોધનમાં અમિત શાહે જણાવ્યું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક જ દિવસમાં 1.25 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદની ત્રણેય લોકસભા બેઠકોમાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન હાથ ધરાયું છે. તેમણે કહ્યું કે આ વૃક્ષો આગામી પેઢીઓ અને પર્યાવરણ માટે અમૂલ્ય સંપત્તિ સાબિત થશે.

તેમણે વર્ષ 2029ની ચૂંટણી સુધીમાં પોતાના લોકસભા ક્ષેત્રમાં 20 ટકા હરિયાળી વધારવાનો વ્યક્તિગત સંકલ્પ વ્યક્ત કર્યો. સાથે જ દરેક સોસાયટીમાં ખાલી જગ્યાએ વૃક્ષો વાવવાની અને દરેક ઘરમાં સોલાર રૂફટોપ લગાવવાની અપીલ પણ કરી.
AMC દ્વારા શરૂ કરાયેલા ટ્રી કેર એપ મારફતે દરેક વૃક્ષની RFID આધારિત નોંધણી, સ્થાન, ઊંચાઈ, વ્યાસ, ઉંમર, સ્વાસ્થ્ય અને ફોટો સહિતની તમામ વિગતો ડિજિટલ રીતે ટ્રેક કરવામાં આવશે.