ખેતીમાં નવતર પ્રયોગ, વરસાદથી નુકસાન પામેલી ખારેકમાંથી જ્યુસ, પાઉડર અને સ્લાઇસ બનાવી ઓનલાઇન વેચાણ

કચ્છના માંડવી તાલુકાના નાની વીરાણીના ખેડૂત કિશોર ઠાકરશી પાસડે ખેતીમાં નવતર પ્રયોગ શરૂ કર્યો છે. તેઓ છેલ્લા 15 વર્ષથી જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ પ્રાકૃતિક ખેતી કરે છે. તેમણે ક્યારેય રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી.

70 વર્ષીય કિશોરભાઈ પોતાના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરીને દેશ-વિદેશમાં નિકાસ કરે છે. તેઓ ખારેકને ફ્રિજ ડ્રાઇડ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાના પેકેજિંગમાં વેચે છે. સાથે જ ખારેકનો પાઉડર અને સ્લાઇસ પણ બનાવે છે. આંબાના પલ્પ અને ક્યૂબ્સ બનાવીને ખાદ્ય ઉત્પાદન કંપનીઓને વેચે છે.

કચ્છમાં જળવાયુ પરિવર્તનને કારણે વહેલા વરસાદથી ઇઝરાયેલી બારાહી ખારેક નુકસાન પામે છે. આવી ખારેક બજારમાં વેચાણલાયક રહેતી નથી. આથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. કિશોરભાઈએ આ સમસ્યાના ઉકેલ માટે નુકસાન પામેલી ખારેકમાંથી જ્યુસ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો છે.
કિશોરભાઈના મતે ખેડૂતોએ પોતાના ઉત્પાદનની એમઆરપી જાતે નક્કી કરવી જોઈએ. જો આ પ્રયોગ સફળ થશે તો કચ્છના અન્ય ખેડૂતો પણ ખારેકનું મૂલ્યવર્ધન કરીને વધુ નફો મેળવી શકશે.