
તા.2-2, બુધવારના સંસદના શૂન્યકાળ પ્રસ્તાવમાં ગોહિલે રજૂઅાત કરતા જણાવ્યું હતું કે, કચ્છી ભાષા બોલનારાઅોનો મોટો સમૂહ છે. કચ્છના લાખો લોકો ઉપરાંત કેન્યા, યુગાન્ડા, કોંગો, તાંજાનિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા સહિત દેશ-વિદેશમાં ધંધાર્થે સ્થાયી થયેલા કચ્છી નાગરિકો ત્યાં પણ કચ્છી બોલે છે. કચ્છી સંસ્કૃતિ, ઇતિહાસ અને કચ્છી ભાષાને બચાવવા માટે તેના રક્ષણ અને સંવર્ધનની તાતી જરૂરિયાત છે, જેથી કચ્છી બોલીને બંધારણની અાઠમી અનુસૂચિમાં સમાવી, ભાષાનો દરજ્જો અાપવાની માગ કરી છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, ગોહિલે અબડાસાના ધારાસભ્ય હતા ત્યારે કચ્છના પ્રશ્નો ઉપાડ્યા હતા જ અને તાજેતરમાં કચ્છની વન્ય સંપદાને લગતા પ્રશ્નો સંસદમાં પૂછ્યા હતા. આ ઉપરાંત ભુજના સાહિત્યકાર મહેન્દ્ર સાકરચંદ દોશીઅે સાૈપ્રથમ વખત આ મુદ્દો ઉઠાવ્યો હતો અને અનેક વખત સરકારમાં પણ રજૂઆતો કરી છે.
વર્ષ 2011ની વસતી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 861976 લોકો કચ્છી ભાષા બોલે છે. જેમાંથી કચ્છમાં કચ્છી ભાષી લોકો 700880 છે. તો દેશના રાજ્યોની વાત કરવામાં અાવે તો જમ્મુ કશ્મીરમાં 4, હિમાચલ પ્રદેશમાં 2, પંજાબમાં 4, ઉત્તરાખંડમાં 6, હરિયાણામાં 12, દિલ્હીમાં 26, રાજસ્થાનમાં 177, સિક્કીમમાં 2, ઉત્તરપ્રદેશમાં 12, નાગાલેન્ડમાં 2, ત્રિપુરામાં 26, મેઘાલયમાં 2, અાસામમાં 5, પ.બંગાળમાં 123, ઝારખંડમાં 109, ઓરિસ્સામાં 457, છત્તીસગઢમાં 1421, મધ્યપ્રદેશમાં 895, દાદરાનગર હવેલી અને દિવ-દમણમાં 741, મહારાષ્ટ્રમાં 1,59,665, અાંધ્રપ્રદેશમાં 989, કર્ણાટકામાં 2008, ગોવામાં 135, લક્ષદ્વીપમાં 7, કેરળમાં 1097, તામિલનાડુમાં 690 અને પુડુચેરી પુડુચેરીમાં 9 કચ્છીભાષી લોકો છે.
