
દિગ્ગજ અભિનેતા રાજકપૂર (RK), દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરનો અત્રે ચેંબૂર ઉપનગરમાં આવેલો બંગલો આજે વેચાઈ ગયો છે. ગોદરેજ ગ્રુપની ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ તે ખરીદ્યો છે. કંપનીએ આ સોદાની જાણકારી મુંબઈ શેરબજારને આપી છે. જોકે આ બંગલો કેટલી રકમમાં વેચવામાં આવ્યો છે તેની કોઈ અધિકૃત માહિતી જાણવા મળી નથી.

આ જ ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ 2019માં ચેંબૂરમાં જ આવેલો કપૂર પરિવારની માલિકીનો આર.કે. ફિલ્મ સ્ટુડિયો પણ ખરીદ્યો હતો. હવે તેણે રાજ કપૂરનું નિવાસસ્થાન ખરીદ્યું છે. આ બંગલો ચેંબૂરમાં દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સીસની બાજુમાં આવેલો છે. આ ચેંબૂરનો વૈભવશાળી નિવાસી વિસ્તાર ગણાય છે.
કંપનીના સીઈઓ ગૌરવ પાંડેએ જણાવ્યું છે કે અમે અમારા પોર્ટફોલિઓમાં ‘આરકેએસ’ વિકસિત યોજનાનો ઉમેરો કરવા બદલ ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ. અમને આ તક પૂરી પાડવા બદલ અમે કપૂર પરિવારના આભારી છીએ.