રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાનાં ભક્તો પાસે જાય છે

રથયાત્રા એ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે….
જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઑડિશાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે…. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ સ્વયં સામે ચાલીને પોતાનાં ભક્તો પાસે જાય છે…..

ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા તેમની પૂજા પણ કરવામાં આવે છે…..
જગન્નાથનો શાબ્દિક અર્થ થાય છે “વિશ્વનો ભગવાન”, એટલે કે, બ્રહ્માંડનો સ્વામિ….
રથયાત્રા નીકળવાનું કારણ…
ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ બલરામજી ની માતા રોહિણીને પૂછ્યું કે અમે કૃષ્ણની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લે છે.
ત્યારે રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું.
રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવાં ન દેતાં. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી…..
સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે….
કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા.
તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા.
ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી.
નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો, તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવા નું વચન આપ્યુ.

પુરી નું મહત્વ….
જગન્નાથ મંદિર પવિત્ર ચાર ધામોમાં નું એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ રથયાત્રા એ ભગવાન જગન્નાથની ગુંડીચા માતા મંદિરની ભ્રમણનું પ્રતીક છે…. એકવાર બહેન સુભદ્રાએ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે જગન્નાથજીએ તેમને રથ પર બેસાડીને શહેરનું ભ્રમણ કરાવ્યુ હતુ….અને નારદજી ને આપેલ વચન પૂર્ણ કરેલ….
ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે…
આ રથયાત્રા નવ દિવસ સુધી ચાલે છે. રથયાત્રા અષાઢ સુધ બીજથી શરૂ થઈને દશમ સુધી ચાલે છે. મુખ્ય મંદિરથી શરૂ થઈ આ યાત્રા ગુંડીચા મંદિરમાં પુરી થાય છે. અહી જગન્નાથ સાત દિવસ વિશ્રામ કરીને દસમના દિવસે પરત ફરે છે.
જગન્નાથ પુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે….

આ રથોની ઉંચાઇ લગભગ ૪૫ ફુટ (૪-૫ માળ) જેટલી હોય છે.
પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી.
રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે.
પુરીની રથયાત્રામાં જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનુ નામ “નંદીઘોષ” છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે.
ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ “તાલ ધ્વજ” છે અને સુભદ્રાના રથ નુ નામ “પદ્માધ્વજ” છે.
સ્કંદ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ રથયાત્રામાં શ્રી જગન્નાથના નામનો જાપ કરતી વખતે ગુંડીચા નગર જાય છે, તે પુનર્જન્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ ભગવાનના નામનો જાપ કરીને રથયાત્રામાં જોડાય છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. રથયાત્રામાં ભાગ લેવાથી બાળકો સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે….
-નિકિતા સક્સેના
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો