
ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન યૂસુફ પઠાને ક્રકેટના તમામ પ્રકારમાંથી સંન્યાસ લીધો છે. યૂસુફ પઠાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આ વાતની માહિતિ આપી છે. ભારત માટે 57 વન ડે અને 22 ટી 20 મેચ રમનારા યૂસુફે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2012માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.
યૂસુફે સંન્યાસની જાહેરાત કરતા કહ્યું કે ‘હું મારા પરિવાર, દોસ્તો, પ્રશંસકો, ટીમો, કોચ અને આખા દેશનો મને સપોર્ટ કરવા માટે અને પ્રેમ કરવા માટે દિલથી આભાર માનુ છું.’
‘મને આજે પણ યાદ છે જ્યારે મેં પહેલી વખત ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી હતી. તે દિવસે મેં માત્ર ભારતની જર્સી નહોતી પહેરી પરંતુ મેં મારા પરિવાર, દોસ્ત, કોચ અને આખા દેશની આશા અને મારા સપનાને મારા ખભા પર મુક્યું હતું. બાળપણથી જ મારું જીવન ક્રિકેટ વચ્ચે વિત્યું છે. હું મારા કરિઅરની અંદર દેશ માટે રમ્યો, ઘરેલુ મેચ રમ્યો અને આઇપીએલ પણ રમ્યો.’
પોતાના કરિઅરની યદો તાજી કરતા તેણે કહ્યું કે ‘ભારત માટે વર્લ્ડ કપ જીતવો અને સચિન તેંદૂલકરને ખભા પર બેસારવા એ મારા કરિઅરની સૌથી યાદગાર ક્ષણો હતી. હવે સમય આવી ગયો છે જ્યારે હું એક ક્રિકેટર તરીકેના જીવન પર પુર્ણવિરામ મુકુ.’

ઉલ્લેખનીય છે કે 2007ના ટી 20 વર્લ્ડ કપના ફાઇનલમાં પાકિસ્તાન સામેની મેચમાં યૂસુફ પઠાને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. વર્લ્ડ કપ ફાઇનલમાં ડેબ્યુ કરનાર અને ચેમ્પિયન બનનાર તેઓ દુનિયના એકમાત્ર ખેલાડી છે. પોતાની ડેબ્યુ મેચમાં તેમણે 8 બોલમાં 15 રન બનાવ્યા હતા.