VIOLENCE IN BANGLADESH : અંજાર ખાતે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ને નિશાન બનાવીને યોજનાબદ્ધ હિંસાના સંદર્ભે જનાક્રોશ સભા

માનવ સાંકળ, સંતો દ્વારા સંબોધન અને સહી અભિયાનથી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ
VIOLENCE IN BANGLADESH : અંજાર ખાતે બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર સતત થઈ રહેલા હુમલા, અત્યાચાર અને માનવાધિકાર ભંગના વિરોધમાં જન આક્રોશ સભા તથા શ્રદ્ધાંજલી અર્પણ કાર્યક્રમ નૂતન સ્વામિનારાયણ મંદિરે યોજાયો હતો. આ સભામાં સનાતન હિન્દુ સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હાજર રહ્યા હતા.

જન આક્રોશ સભાને સંબોધતા અંજાર સ્વામિનારાયણ મંદિરના સંત કૃષ્ણપ્રિય સ્વામી, અક્ષરપ્રકાશ સ્વામી, મહંતશ્યામદાસજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા, હિન્દુઓની સંપત્તિ પર ગેરકાયદેસર કબજો તથા મહિલાઓ પર થતા અત્યાચાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં બની રહેલી ઘટનાઓ માત્ર છૂટક બનાવો નથી, પરંતુ હિન્દુ સમાજને નિશાન બનાવીને ચલાવવામાં આવતી યોજનાબદ્ધ હિંસા છે, જે માનવાધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના મૂલ્યો માટે ગંભીર પડકારરૂપ હોવાનું ગણાવ્યું હતું. મહેશ્વરી સમાજના ધર્મગુરુ ખીમજી ડાડા માતંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હિંસાના ભોગ બનેલા નિર્દોષ હિન્દુ હતભાગીઓની સ્મૃતિમાં મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
સાથે જ ભારત સરકાર તથા વૈશ્વિક સમુદાયને આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી.જન આક્રોશસભા અંતર્ગત ઉપસ્થિતોએ માનવ સાંકળ રચી હિન્દુ એકતાના દર્શન કરાવ્યા હતા. ઉપસ્થિત લોકોએ પ્લે કાર્ડ અને બેનરના માધ્યમથી વિવિધ સૂત્રો પ્રદર્શિત કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત, સનાતન હિન્દુ સમાજના નાગરિકોએ સહી અભિયાન હાથ ધરી, કેન્દ્ર સરકારને ઈમેલ તથા પત્ર લખીને પોતાનો વિરોધ અને માંગ રજૂ કરી હતી.
વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો