
RBI ‘વર્તમાન પડકારો વચ્ચે ભારતનું અર્થતંત્ર મજબૂત અને સ્થિર’, RBI ગવર્નર સંજય મલ્હોત્રાનું નિવેદન
RBI રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારતનું અર્થતંત્ર મજબૂત ગ્રોથ સાથે વિકસી રહ્યું હોવાનું જણાવ્યું છે. તેમણે દેશના વિકસી રહેલા જીડીપી ગ્રોથનો શ્રેય ફુગાવામાં ઘટાડો, મજબૂત ફોરેક્સ રિઝર્વ, રાજકોષીય ખાધમાં ઘટાડો તેમજ બેન્કો-કોર્પોરેટ્સની મજબૂત બેલેન્સ શીટને ફાળે આપ્યો છે.
RBI કૌટિલ્ય ઈકોનોમિક કોન્ક્લેવ 2025માં સંબોધન આપતાં સંજય મલ્હોત્રાએ કહ્યું કે, ‘ભારતના મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ ફેબ્રુઆરીથી મજબૂત ફોરેક્સ રિઝર્વ અને નીચા ફુગાવાથી માંડી ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો અને મજબૂત બેન્ક બેલેન્સ શીટના કારણે મજબૂત બન્યા છે. તમામ પડકારો છતાં અર્થતંત્ર સ્થિતિસ્થાપક ગ્રોથ સાથે ટકાઉ બન્યું છે. સરકારના નીતિ નિર્માતાઓ, નિયમનકારો અને બજારના સહભાગીઓના સંયુક્ત પ્રયાસોનું આ પરિણામ છે. આ એક મોટી ઉપલબ્ધિ છે.
ફોરેક્સ રિઝર્વ વધી 700 અબજ ડોલર
RBI આરબીઆઈના આંકડા અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારતની ફોરેક્સ રિઝર્વ વધી 700.2 અબજ ડોલર થઈ હતી. જે મર્ચેન્ડાઈઝની આયાતના 11 મહિના કરતાં પણ વધુ ખર્ચને આવરી લે તેટલી છે. ફુગાવો સતત આરબીઆઈના લક્ષ્યાંક હેઠળ રહ્યો છે. ઓગસ્ટમાં નજીવો વધી 2.07 ટકા નોંધાયો હતો. તેમાં પણ જીએસટીમાં સુધારાના કારણે ઘરેલુ વપરાશ વધવાની અપેક્ષા છે.
RBI વિવિધ પડકારોમાં ભારતનું અર્થતંત્ર સ્થિર ગ્રોથના માર્ગે
મલ્હોત્રાએ નોંધ્યું હતું કે છેલ્લા બે દાયકામાં, વિશ્વભરમાં કેન્દ્રીય બેન્કોએ 2008ની નાણાકીય કટોકટી અને યુરોઝોનના દેવામાં ઘટાડાથી માંડી કોવિડ-19, યુક્રેનમાં રશિયાના યુદ્ધ અને આબોહવા સંબંધિત વિક્ષેપો સુધીના અવિરત પડકારો જોયા છે. તેમ છતાં ભારતનું અર્થતંત્ર સ્થિર ગ્રોથના માર્ગે આગળ વધી રહ્યું છે. આપણે પડકારોને નિયંત્રિત કરી શકતા નથી, પરંતુ આ પડકારો વચ્ચે પણ ભારત ચોક્કસપણે પોતાના વિકાસનું જહાજ ચલાવવા સક્ષમ છે.