કષ્ટભંજનદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

હનુમાન જયંતીના પાવન અવસરે સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ ભોજનલયના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગોપાળાનંદ સ્વામીના હસ્તે પ્રતિષ્ઠિત સાળંગપુર ધામમાં આ ભવ્ય પ્રતિમાના લોકાર્પણ નિમિતે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં આવતા દુઃખ દર્દ અને સંકટ આવે ત્યારે કષ્ટભંજન દેવની યાદ આવે. જેનો વ્યક્તિગત અનુભવ મને પણ છે.

અમિત શાહે ઉમેર્યું કે, શ્રી ગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીની કરેલી આજીવન સેવાનું પુણ્ય આ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠામાં મૂક્યું જેનો પ્રતાપ આપણે સહુ અનુભવી રહ્યા છીએ. દાદાના દર્શને આવતા તમામ ભાવિકોને સારી રીતે દર્શન થાય એટલું જ નહીં ભોજન પ્રસાદની ઉત્તમ સુવિધા મળે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું કદાચ આ પહેલું તીર્થસ્થાન બન્યું છે. પૂર્વ વડાપ્રધાન અટલજીબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીજીએ મુંબઈમાં ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી હતી. દાદાના પ્રતાપે આજે ૧૬ રાજ્યો અને ૪૦૦થી વધુ બેઠકો સાથે કેન્દ્રમાં સરકાર છે. એમ તેમણે ઉમેર્યું હતું.

તેઓએ ઉમેર્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં નરેન્દ્રના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ વિશ્વભરમાં બુલંદ કરવાનું કામ થયું છે. ૫ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ નરેન્દ્રની ઇચ્છાશક્તિથી ૩૭૦ની કલમ નાબૂદ થઈ. આ પગલાંથી ભારતના સામાન્ય નાગરિકોના મનમાં સંતોષ થયો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતીય સંસ્કૃતિના તીર્થસ્થાનોના જીર્ણોદ્ધારનું વિરાટ કાર્ય થયું. કેદારનાથ ધામ, કાશી વિશ્વનાથ કોરિડોર, અંબાજીમાં ભવ્ય મંદિર, સોમનાથને સુવર્ણ જડિત કરવાનું કામ, પાવગઢમાં સદીઓ બાદ ધર્મ ધજા લહેરાવવાનું કામ સહિતના કાર્યો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે હજારો સંતો અને વીર યોદ્ધાઓએ બલિદાન આપ્યું.

દેશ અને દુનિયામાં સરદાર સાહેબને ખ્યાતિ અપાવતું સ્ટેચ્યુ ઓફ યુનિટી, પવિત્ર ગંગા નદીનું ગુણાત્મક શુદ્ધિકરણ જેવા કાર્યો આ ૯ વર્ષમાં થયા જેનો તમામ ભારતવાસીઓને આનંદ છે. આ ઉપરાંત વિદેશમાંથી ૩૬૦ પૌરાણિક મૂર્તિઓને નિજ મંદિરમાં પુનઃ સ્થાપવાનું કામ અને ભારતીય ભાષાઓને સન્માન અપાવવાનું કામ કર્યું એમ તેમણે ઉમેર્યું હતું. કષ્ટભંજન દેવના સ્થાનકમાં ગોપાળાનંદ સ્વામીએ પુણ્યોથી સીંચેલી આ ભૂમિમાં ભવ્ય પ્રતિમાની સ્થાપના અને પ્રસાદ માટે ભોજનશાળાના સુંદર આયોજન બદલ અમિત શાહે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી, સર્વ સંતો અને હરિભક્તોને અભિનંદન પાઠવવાની સાથે તેઓએ ઉપસ્થિત સહુને હનુમાન જયંતીની શુભકામનાઓ પાઠવી હતી.

અમિત શાહે હનુમાન જયંતીના પાવન પ્રસંગે બોટાદ જિલ્લાની મુલાકાત દરમિયાન સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શીશ નમાવી સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ સાથે કષ્ટભંજનદેવની કૃપા હંમેશા વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી. ગૃહમંત્રીએ સાળંગપુર સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની તકતીનું અનાવરણ કર્યું હતું.

આ અવસરે વડતાલ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલધામના ટેમ્પલ બોર્ડના હોદ્દેદારો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા), વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, વિવેકસાગરજી સ્વામી, વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી (અથાણાવાળા) સહિત સર્વ ધારાસભ્યઓ શ્રી કાળુભાઇ ડાભી, ડી.કે.સ્વામી, રમણલાલ વોરા, કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા કલેકટર ડૉ.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા સહિત જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓઓ તેમજ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *