
74 વર્ષના દેશરાજ સિંહનો 6 વર્ષ પહેલાં મોટો દિકરો અને 4 વર્ષ પહેલા નાનો દિકરો અવસાન પામ્યો. મોટા દીકરાના સંતાનો અને વિધવા પુત્રવધુ સહિત સમગ્ર પરિવારની જવાબદારી દેશરાજસિંહ પર આવી ગઈ. દિકરાઓને ગુમાવવાનું દુઃખ હૃદયમાં દાબીને દેશરાજસિંહે રિક્ષા ચલાવવાનું શરું કરી દીધું. પૌત્રીનો અભ્યાસ આગળ ચલાવવા અને તેને શિક્ષક બનવાનું સપનું પૂરું કરવા દાદાજીએ પોતાનું નાનું એવું ઘર પણ વેચી નાખ્યું. દેશરાજસિંહ મુંબઈમાં એકલા જ રહે છે દિવસ-રાત રિક્ષા ચલાવે છે એનું ઘર પણ રિક્ષા જ છે રિક્ષામાં જ સુઈ જાય અને રસ્તા પર થોડું-ઘણું જમી લે છે આ માણસ આવી કપરી પરિસ્થિતિમાં પણ પૌત્રીના અભ્યાસ માટે હસતા હસતા કામ કરે છે એના ચહેરા પરનું સ્મિત આપણને ઘણું શીખવી જાય છે. પૌત્રીને ભણાવવા માટે બધું જ વેચી નાખનારા દેશરાજસિંહની કહાનીએ મુંબઈવાસીઓને ભાવવિભોર કરી દીધા. મુંબઈની હ્યુમન્સ ઑફ બોમ્બે નામની એક સંસ્થાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર દેશરાજ સિંહની વાત શેર કરી અને લોકોને મદદ કરવા અપિલ કરી. તો ક્રાઉડ ફન્ડીંગથી દેશરાજ સિંહ માટે રુ. 24 લાખનું દાન મળ્યું.