
મોટેરા આશ્રમની જમીન સરકાર હસ્તક, હાઇકોર્ટનો આદેશ
આશ્રમ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. લાંબી કાનૂની લડાઈ બાદ કોર્ટે રાજ્ય સરકારને આશ્રમની અંદાજે 45,000 ચોરસ મીટર જમીન પરત લેવાની મંજૂરી આપી દીધી છે. આ આદેશ સાથે જ આશ્રમમાં કરવામાં આવેલા અનેક અનધિકૃત બાંધકામો પર ડિમોલિશનની તલવાર લટકી રહી છે.
30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે :
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આશ્રમ દ્વારા સરકારી જમીન પર કોઈપણ મંજૂર પ્લાન વગર 30થી વધુ માળખાં ઉભા કરી દેવામાં આવ્યા હતા. તંત્રએ છ મહિના પહેલા આ અંગે નોટિસ આપી હતી. તેના જવાબમાં આશ્રમે ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામ કાયદેસર કરાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સત્તાધિકારીઓએ આ અરજી ફગાવી દીધી છે. હાલ આ મામલો ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) પાસે છે, જેનો અંતિમ નિર્ણય આવ્યા બાદ કડક કાર્યવાહી શરૂ થશે.
આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે:
આ જમીન પરત મેળવ્યા બાદ સરકાર તેનો ઉપયોગ ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સ માટે કરશે. કોમનવેલ્થ 2030 ની તૈયારીઓના ભાગરૂપે, આ સ્થળ પર સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ફ્લેવ હેઠળ એક અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમત નકશા પર વધુ મજબૂત રીતે ઉભરી આવશે.