ભાગેડુ નીરવ મોદીને લંડનથી ભારત લવાશે, લંડનની કોર્ટે પ્રત્યર્પણની મંજૂરી આપી; જજે કહ્યું- આર્થર રોડ જેલ નીરવ માટે યોગ્ય છે

PNB કોભાંડમાં વોન્ટેડ હીરાના કારોબારી નીરવ મોદીના ભારત પ્રત્યર્પણ પર બ્રિટનની કોર્ટમાં ગુરુવારે અંતિમ સુનાવણી થઈ છે. એમાં કોર્ટે નીરવને ભારત મોકલવાની મંજૂરી આપી છે. લંડનમાં વર્ચ્યુઅલ હિયરિંગ પછી જજ સેમ્યુઅલ ગુજીએ કહ્યું હતું કે નીરવ મોદીએ ભારતમાં ચાલી રહેલા કેસમાં જવાબ આપવો પડશે. તેમણે માન્યું કે નીરવ મોદીએ પુરાવાઓને નષ્ટ કરવાની અને સાક્ષીઓને ડરાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
જજે કહ્યું હતું કે નીરવ મોદીને ભારત મોકલવામાં આવશે તો એવું નથી કે ત્યાં ન્યાય નહીં મળે. કોર્ટે નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાતને પણ ફગાવી દીધી છે. એવું લાગતું નથી કે તેને કોઈ તકલીફ હોય. કોર્ટે મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12ને નીરવ મોદી માટે પર્ફેક્ટ ગણાવી છે. એ સાથે જ તેમણે કહ્યું હતું કે ભારત પ્રત્યર્પણ થશે તોપણ તેને ત્યાં ન્યાય મળશે જ.
હવે ગૃહમંત્રી પાસે જશે આ કેસ
પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડથી વધુની લોનની છેતરપિંડીના આરોપી નીરવ મોદી અત્યારે લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે. તેને પ્રત્યર્પણ કરી ભારત લાવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટના ચુકાદા બાદ આ અંગે અંતિમ મંજૂરી માટે આ કેસ બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ પાસે જશે, જ્યાં આ અંગે અંતિમ મંજૂરી મળી જશે.
14 હજાર કરોડ રૂપિયા કરતાં વધારે લોનની છેતરપિંડીનો આરોપ
નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ બેંક અધિકારીઓ સાથે મળી પંજાબ નેશનલ બેંક સાથે આશરે રૂપિયા 14 હજાર કરોડથી વધારે લોનની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી ગેરન્ટી પત્ર મારફત કરવામાં આવી હતી. તેની પર ભારતમાં બેંકને લગતી ગેરરીતિ અને મની લોન્ડરિંગ હેઠળ બે મુખ્ય કેસ CBI અને EDએ દાખલ કરેલા છે. આ ઉપરાંત અન્ય કેસમાં પણ તેની સામે ભારતમાં કેસ નોંધાયેલા છે. નીરવ મોદીએ તેના પ્રત્યર્પણના આદેશ સામે બ્રિટનની કોર્ટમાં સ્ટે માગ્યો છે.
કોર્ટે તેના ચુકાદામાં શું કહ્યું…

કોર્ટે ચુકાદો આપતાં નીરવ મોદી સામે ભારતમાં એક કેસ છે, જેના માટે તેને જવાબ આપવાનો છે.

કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે નીરવ મોદીએ પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને ડરાવવા માટે ષડયંત્ર રચ્યું હતું.

કોર્ટે નીરવની માનસિક સ્વાસ્થ્યની ચિંતાને નકારી દીધી અને કહ્યું હતું કે આ સ્થિતિમાં ફસાયેલા લોકો માટે આ અસામાન્ય નથી.

કોર્ટે કહ્યું હતું કે જો નીરવને ભારત મોકલવામાં આવે છે તો તે આત્મહત્યા કરી લે એવું કોઈ જોખમ નથી, કારણ કે તેને આર્થર રોડ જેલમાં યોગ્ય ડોક્ટરોની સહાયતા મળશે.

કોર્ટે કહ્યું હતું કે નીરવને આર્થર રોડ જેલમાં યોગ્ય સારવાર અને માનસિક સ્વાસ્થ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વકીલોએ નીરવને માનસિક રૂપથી બીમાર ગણાવ્યો હતો
આ પહેલા વકીલોએ દાવો કર્યો કે નીરવ મોદી માનસિક રૂપથી બીમાર છે. સાથે જ તેમણે ભારતની જેલમાં સુવિધાઓ ન હોવાનો દાવો કર્યો. ભારતીય એજન્સીઓ તરફથી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ(CPS) મામલાની રજૂઆત કરી રહ્યું છે. CPSના બેરિસ્ટર હેલન મેલ્કમે કહ્યું હતું કે મામલો બિલકુલ સ્પષ્ટ છે. નીરવે ત્રણ પાર્ટનર વાળી કંપની દ્વારા અબજો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. જ્યારે બચાવ પક્ષના વકીલોએ કહ્યું કે મામલો વિવાદિત છે. નીરવ મોદી પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે.
19 માર્ચ 2019થી જેલમાં છે નીરવ
નીરવ મોદી 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવ્યા ત્યારથી જેલમાં છે. તેમણે ઘણી વખત જામીન મેળવવાની કોશિશ કરી હતી, જોકે દરેક વખતે તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે કારણ કે તેઓ ફરાર થઈ જવાનું જોખમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *