
ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ એક્સીડન્ટમાં નિધન થઈ ગયું છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર આ દુર્ઘટના ઘટી. પોલીસના જણાવ્યા મુજબ 54 વર્ષના મિસ્ત્રીની મર્સિડીઝ કાર સૂર્યા નદીના પુલ પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ મર્સિડીઝના એરબેગ પણ ખુલ્યા, પરંતુ મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા. કારમાં કુલ ચાર લોકો સવાર હતા.
પ્રાથમિક માહિતી મુજબ મર્સિડીઝના ડ્રાઈવરે કાર પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો, જે બાદ ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસે મર્સિડીઝ કારમાં સવાલ લોકોની વિગત જાહેર કરી છે. એક્સીડન્ટમાં સાયરસ મિસ્ત્રીની સાથે જહાંગીર દિનશા પંડોલેનું પણ નિધન થયું છે. તો અનાયતા પંડોલે (મહિલા) અને તેમના પતિ દરીયસ પંડોલે ઘાયલ થયા છે. અનાયતા મુંબઈમાં ડોકટર છે અને કાર તેઓ ડ્રાઈવ કરી રહ્યાં હતા. તેમના પતિ દરીયસ મંડોલ JM ફાયનાન્સિયલના CEO છે. જહાંગીર પંડોલે દરીયસના પિતા છે.
મુંબઈ-અમદાવાદ હાઈવે પર બપોરે સાડા ત્રણ વાગ્યે એક્સીડન્ટ થયો
પાલઘરના SP બાલાસાહેબ પાટિલે જણાવ્યું- મિસ્ત્રી જે કારમાં સવાર હતા, તેનો નંબર MH-47-AB-6705 છે. એક્સીડન્ટ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી મુંબઈના રસ્તે આવતી સૂર્યા નદીના પુલ પર થયો. દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
