
મહાશિવરાત્રિના પર્વ પર દર વર્ષે જૂનાગઢના ભવનાથમાં યોજાતો મેળો આ વર્ષે રદ કરવામા આવ્યો છે. ભજન, ભોજન અને ભકિતના આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભકિતનું ભાથુ બાંધવા આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીનાની અધ્યક્ષતામાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ગીરનાર મંડળના ઇન્દ્રભારતી મહારાજ સહિત સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહત્વનો નિર્ણય લઇ તા.7 માર્ચથી શરૂ થનાર મહાશિવરાત્રીનો મેળો રદ કરવાનો નિર્ણય કરાયો છે. જોકે, સાધુ-સંતો દ્વારા મેળાની ધાર્મીક પરંપરા જાળવાશે. સાધુ-સંતો દ્વારા યોજાનાર પરંપરામાં લોકોને પ્રવેશ અપાશે નહીં તેવું નક્કી કરાયું છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે નહિં યોજવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની કપરી પરિસ્થિતિ સંદર્ભે હવે શિવરાત્રી આવવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આથી ભવનાથમાં શિવરાત્રીનો મેળો થશે કે નહી તે અંગે નિર્ણય લઇ મેળો રદ કરાયો છે.
જિલ્લા કલેક્ટરએ શિવરાત્રી મેળાની પરંપરા જળવાય તે મુજબ ભવનાથ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવશે. તેમજ સાધુ સંતો દ્વારા મહાશિરાત્રીના રાત્રે રવેડી પણ નિકળશે અને શાહીસ્નાન અને પરંપરાગત પુજાવિધીની પરંપરા જાળવવામાં આવશે. મેળામાં લોકોને પ્રવેશ અપાશે નહીં.