
વડોદરા :
વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25836 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 244 થયો છે. ગત રોજ વડોદરા શહેર અને જિલ્લામાં વધુ 83 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ 24935 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. દરમિયાન આજે ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ સાથે બેઠક બાદ નિર્ણય લેવાયો છે કે, કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કરવામાં આવ્યો છે અને શનિ અને રવિવારના રોજ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવામાં આવશે. તેમજ વડોદરા ટ્રાફિક બ્રિગેડના 19 યુવતીઓ સહિત 30 તાલીમાર્થી કોરોના સંક્રમિત થયા છે.
વડોદરાના પૂર્વ મેયર શબ્દસરણ બ્રહ્મભટ્ટ કોરોના સંક્રમિત થયા છે. જેથી તેમણે ટ્વિટ કરી સંપર્કમાં આવેલા કાર્યકરોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 25,836 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3834, પશ્ચિમ ઝોનમાં 4287, ઉત્તર ઝોનમાં 5068, દક્ષિણ ઝોનમાં 4723, વડોદરા ગ્રામ્યમાં 7888 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
વડોદરા શહેરમાં રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ
વડોદરામાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા કડક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં કરફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. બંને શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂનો સમય કરાયો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરાઈ છે.
વડોદરામાં મોલ-મલ્ટિપ્લેક્સ તથા બાગ-બગીચા બંધ
વડોદરાના ઓએસડી વિનોદ રાવે આ જાહેરાત કરતા જણાવ્યું કે, અમદાવાદ સુરત બાદ હવે વડોદરામાં રાત્રિ કર્ફ્યું 9 વાગ્યાથી અમલમાં આવશે. તેમજ વડોદરામાં શનિવાર અને રવિવારે તમામ મોલ અને મલ્ટિપ્લેક્સ બંધ રહેશે. સાથે જ શહેરમાં ભીડભાડવાળી જગ્યા પર કડકાઈથી કરફ્યૂનો અમલ કરાવવામાં આવશે. સિટી બસમાં સોશિયલ ડિસ્ટન્સનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે. આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સિટી બસના સંચાલકની રહેશે. વડોદરામાં પણ તમામ બાગ બગીચા દરવાજા નાગરિકો માટે બંધ કરાયા છે. તેમજ વિદ્યાર્થીઓમાં વધતા સંક્રમણને લઈને તંત્ર દ્વારા તમામ ટ્યુશન તેમજ કોચિંગ કલાસ બંધ રાખવા આદેશ કરાયો છે.