સમાજ અને સરકારને જાગૃત રાખી સમાજમાં પરિવર્તન લાવવાનુ અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે -નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

ગાંધીનગર ખાતે ટી.વી.નાઈન દ્વારા આત્મનિર્ભર ભારત કાર્યક્રમ યોજાયો



વિવિધ ક્ષેત્રે ધંધો – રોજગાર કરનાર 35 ઉદ્યોગ સાહસિકોનું નાયબ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સન્માન


સમાજ અને સરકારને જાગૃત રાખવાનું કામ તેમજ સમાજમાં પરિવર્તન લાવવાનો અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય tv9 જેવા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમ આજે tv9 ચેનલ દ્વારા આયોજિત આત્મનિર્ભર ભારતના સમારંભમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. આ સમારંભમાં ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રે ધંધો – રોજગાર કરનાર 35 ઉદ્યોગ સાહસિકોનું નાયબ મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મીડિયા નું કામ સમાચાર આપવાનું હોય છે. પરંતુ બદલાતા સમય અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી પોતાના પ્રોફેશન સાથે સમાજ ઉપયોગી અને પ્રોત્સાહિત કરવાની ઉમદા પ્રવૃત્તિ મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે, તેનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

વધુમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના સમયે પૂજ્ય મહાત્મા ગાંધીએ આપેલા અનેક શબ્દને સૂત્ર અવરિત બની ગયા છે. તેમ દેશના વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આપેલ આત્મનિર્ભર શબ્દ લોકમુખે સરળતાથી વહેતો બની ગયો છે. જેનું કારણ એટલું જ છે કે આ શબ્દમાં દરેક દેશવાસી ને પોતાનું હિત અને સ્વાભિમાન દેખાય છે. તેની સાથે દેશ સેવા કર્યાનો એક સંતોષ પણ મળી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે વિશ્વનો કોઈપણ દેશ ભારત ને અવગણી શકે તેમ નથી. કારણ કે, ભારત દેશ વિશ્વનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. આથી દરેક દેશ- કંપનીઓને પોતાની પ્રોડેક્ટ વેચવા માટે ભારતના માર્કેટની જરૂરિયાત રહે છે. હાલના વર્તમાન સમયમાં દેશના નવયુવાનોને રોજગારી આપવા માટે આત્મનિર્ભર અભિયાન થકી એક નવી દિશા અને હિંમત મળી છે

ભારતના મોટા બજાર સાથે દેશના નવયુવાનોમાં બુદ્ધિશક્તિ અને ઉત્સાહ અમર્યાદિત છે તેવુ કહી તેમણે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં આપણે માસ્ક અને પી.પી. કિતમાં આત્મનિર્ભર બન્યા છીએ. હવે આપણે શસ્ત્ર ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ આગળ હોવાનુ પણ કહ્યું હતું.

એસ.બી.આઈ. બેન્કના શ્રી પુરુષોત્તમભાઈ બેડેકરે પોતાની આગવી શૈલીમાં આત્મનિર્ભર અભિયાનને સાર્થક કરવા બેંક દ્વારા કેવી કેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે, તેનો ચિતાર રજૂ કર્યો હતો

આ પ્રસંગે tv9 પરિવારના વડા શ્રી કલ્પક કેકડે એ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી આ કાર્યક્રમ યોજવા પાછળની અમદાવાદ ભૂમિકાની માહિતી આપી હતી.

આ પ્રસંગે આમંત્રિત ઉદ્યોગ સાહસિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *