
અમદાવાદની હોસ્પિટલમાં થયેલ ડબલ મર્ડર કેસનો મામલો
અમદાવાદની કર્ણ હોસ્પિટલમાં ડબલ મર્ડર કેસ મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ACP મિલાપ પટેલએ હડકંપ મચાવતી હકીકત જણાવતા કહ્યું હતું કે એનેથેસિયાના ઇન્જેક્શનના ઓવર ડોઝના કારણે ભારતી વાળાનું મોત નીપજ્યું હતું. જેમાં આરોપી મનસુખની સંડોવણી ખુલી છે. આરોપી મનસુખ છેલ્લા 23 વર્ષથી કર્ણ હોસ્પિટલમાં નોકરી કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. વધુમા હોસ્પિટલમાં અગાઉ પણ એક શંકાસ્પદ મોત થયું હતું. જે મામલે પણ હાલ તપાસ ચાલી રહી છે.
આરોપીએ 19,000 રૂપિયા ઘરેણાં ગીરવે મુકયાનું ખુલ્યું
ચકચારી ડબલ મર્ડરની ઘટનામાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હોસ્પિટલમાં cctv ચેક કરતા માતા અને પુત્રી સાથે આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ એનેથેસિયાનો અનુભવ ન હોવા છતાં પણ આરોપીએ ડોઝ આપ્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મનસુખે ભારતી વાળાને ઓપરેશન કરાવવા માટેનું ઇન્જેક્શ આપ્યું જેના ઓવર ડોઝના કારણે ભારતી વાળાનું મોત થયું હતું. બીજી બાજુ આ ઘટના યુવતી માતા જોઇ જતા મનસુખને પોતાનો ભાંડો ફૂટે તેવો ડર લાગ્યો હતો. જેને લઈને પોતાનો કાંડ છુપાવવા મનસુખે માતા ચપાં બેનને પણ ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા.ફિલ્મી ઢબે થયેલી આ હત્યામાં આરોપી મનસુખે સોનાની બુટ્ટી અને ચેઇન પણ લૂંટી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં બુટ્ટીને ગીરવે મૂકી હતી આરોપીએ 19,000 રૂપિયા પણ મેળવી લીધાની પોલીસે સત્તાવાર રીતે માહિતી આપી હતી. જેથી હત્યાની સાથે ચોરીને લઈને વધુ કલમ ઉમેરશે.
શુ હતી સમગ્ર ઘટના?
તાજેતરમાં અમદાવાદની કર્ણ હોસ્પિટલના ઓપરેશન રૂમમાથી માતા પુત્રીના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. મણિનગરના ડૉ.અર્પિત શાહની હોસ્પિટલમાં યુવતીની લાશની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી. જ્યા તપાસ હાથ ધરતા હોસ્પિટલના કબાટમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. વધુમાં એ જ રૂમમાંથી યુવતીની માતાનો પણ મૃતદેહ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી.મણિનગરમાં દવાખાનામાં સારવાર અર્થે આવેલા યુવતી તથા તેમની સાથે આવેલ માતાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મહિલા દર્દી અને માતાની હત્યાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. વધુમાં માતા પુત્રીના મોત પાછળનું કારણ અને મૃતદેહ કબાટમાં કેવી રીતે પહોંચ્યો તે દિશામાં પોલીસે તપાસ લંબાવી હતી.